Published by : Anu Shukla
- રૂ. 38,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.
વડાપ્રધાન મોદી ગુરુવારે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં MMRDA મેદાનમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. પીએમ મોદી માળખાગત સુવિધા, શહેરી મુસાફરીને સરળ બનાવવા અને આરોગ્ય સંભાળને મજબૂત બનાવવાના લક્ષ્યમાં રૂ. 38,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારે મુંબઈ અને કર્ણાટકના પ્રવાસે છે. તેમની આ મુલાકાત દરમિયાન પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. PM મહારાષ્ટ્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી મુસાફરીની સરળતા અને આરોગ્ય ક્ષેત્ર સાથે સંબંધિત રૂ. 38,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તો બીજી બાજુ કર્ણાટકમાં 10,800 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. વડા પ્રધાન મહારાષ્ટ્રમાં લગભગ રૂ. 12,600 કરોડના ખર્ચની મુંબઈ મેટ્રો રેલ લાઇન 7 અને 2A રાષ્ટ્રને સમર્પિત કરશે. આ મેટ્રો રેલ લાઇનનો શિલાન્યાસ પીએમ મોદીએ 2015માં કર્યો હતો. વડાપ્રધાન બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં MMRDA મેદાનમાં યોજાનાર સમારંભમાં ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ, એક રોડ પ્રોજેક્ટ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પુનઃવિકાસનો શિલાન્યાસ પણ કરશે.
કેટલાક વિસ્તારો નો ફ્લાયઝોન જાહેર
વડા પ્રધાનની મુંબઈની મુલાકાત દરમિયાન બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) અને આસપાસના વિસ્તારોમાં વિમાનના ઉડ્ડયન સ્થગિત રહેશે. BKC, અંધેરી, મેઘવાડી અને જોગેશ્વરી એમ ચાર પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ ડ્રોન, પેરાગ્લાઈડર અને રિમોટલી કંટ્રોલ માઈક્રો-લાઈટ એરક્રાફ્ટના ઉપયોગ સહિતની ફ્લાઈંગ એક્ટિવિટીઝને ગુરુવારે બપોરથી લઈને મોડી રાત સુધી મંજૂરી આપવામાં નહી આવે એમ મુંબઈ પોલીસે જણાવ્યું હતું. બુધવારના રોજ આદેશ જાહેર કર્યો છે. મુંબઈ પોલીસે આદેશમાં કહ્યું છે કે આતંકવાદીઓ અથવા અસામાજિક તત્વો ડ્રોન, પેરાગ્લાઈડર અને રિમોટલી ઓપરેટેડ લાઇટ એરક્રાફ્ટનો ઉપયોગ કરીને હુમલા કરી શકે છે, તેથી આવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
કર્ણાટકમાં આ પ્રોજેક્ટ્સ શરૂ કરાશે
પીએમ મોદી બપોરે લગભગ 12 વાગ્યે કર્ણાટકના યાદગીરી જિલ્લાના કોડેકલ ખાતે વડા પ્રધાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકાસ પ્રોજેક્ટ સિવાય સિંચાઈ, પીવાના પાણીથી સંબંધિત વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. આ પછી મોદી લગભગ 2.15 વાગ્યે કલબુર્ગી જિલ્લાના માલખેડ પહોંચશે. તાજેતરમાં કર્ણાટકની વડાપ્રધાનની આ બીજી મુલાકાત હશે.
શાંતિ ભંગની આશંકાઓને ટાળવા પગલાં લેવાયા
મુંબઈ પોલીસે બહાર પાડેલા જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, શાંતિના ભંગ અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાના પ્રયાસની “આશંકા” ને ધ્યાને રાખીને માનવ જીવન, આરોગ્ય, સલામતી અને જાહેર સંપત્તિ માટે ગંભીર ખતરો પેદા ના થાય તે માટે, આ પગલું લેવામાં આવ્યું છે. મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, BKC ખાતે વડાપ્રધાનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં VIP આવવાની અપેક્ષા હોવાથી સુરક્ષા વધારી દેવામાં આવી છે.
કેટલાક રસ્તાઓ પર વાહનવ્યવહાર બંધ રહેશે
વડાપ્રધાન મોદીની આજની મુંબઈ મુલાકાતને લઈને કેટલાક રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. વડાપ્રધાનની મુલાકાત પહેલા કેટલાક રસ્તાઓ પર ટ્રાફિકના રૂટ બદલવામાં આવશે. દરમિયાન, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત ભાજપના ટોચના નેતાઓ, વિશેષ પોલીસ કમિશનર દેવેન ભારતી, સંયુક્ત કમિશનર (કાયદો અને વ્યવસ્થા) સત્યનારાયણ ચૌધરી અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બુધવારે બપોરે MMRDA મેદાનની મુલાકાત લીધી હતી.