Published by : Rana Kajal
મોરબીમાં સર્જાયેલી કરૂણાંતિકા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવતીકાલે મોરબીની મુલાકાતે પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરના રોજ બપોરે મોરબીની મુલાકાત લેવા માટે રવાના થશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 29 ઓક્ટોબરથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે તેમણે કેવડિયા ખાતે સંબોધન કરતા કહ્યું હતું કે મારું મન મોરબી પીડિતોની સાથે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસમાં ભાગ લીધો. એકતા દિવસ પર તેમણે જણાવ્યુ હતુ કે, મોરબીમાં કેબલ બ્રિજ તૂટી પડવાની ઘટના અંગે મને ખૂબ દુખ છે. હું અહીં એકતા નગરમાં છું પણ મારું મન મોરબીના પીડિતો સાથે જોડાયેલું છે. હું દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. વડાપ્રધાને જણાવ્યુ કે આજે રાષ્ટ્રીય એકતા દિવસ આપણને દુઃખની આ ઘડીમાં એક થવા અને આપણી ફરજના પથ પર રહેવા માટે શોક આપે છે.
મોરબીમાં ઝૂલતો પુલ તૂટતા અનેક લોકો મચ્છુ નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. હાલ 134 લોકોના મોત નિપજ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી તાત્કાલિક બચાવ કામગીરી અંગે તાકીદ કરી હતી. દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મોરબી પહોચ્યા હતા. હાલ 132 મૃતકોની યાદી જાહેર કરવામાં આવી છે.







