Published by : Anu Shukla
- 3 દિવસ સુધી યોજાશે RBIની નાણાંકીય નીતિ સમિતિની બેઠક
- RBIએ ગત વર્ષે રેપો રેટોમાં 5 વખત કર્યો હતો વધારો: રેપો રેટ વધવાની સંભાવના
ભારતીય રિઝર્વ બેંક (RBI)ની નાણાંકીય નીતિ સમિતિ (MPC)ની આજથી યોજાનાર બેઠક 8 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. સંભવતઃ બુધવારે RBI ગવર્નર શક્તિકાંત દાસ જણાવશે કે નીતિગત વ્યાજ દર એટલે કે રેપો રેટમાં કોઈ વધારો કરાશે કે નહીં. RBI આ વખતે પણ વ્યાજ દરોમાં વધારો કરી શકે છે. જોકે રેપો રેટની વૃદ્ધિમાં ચોક્કસપણે ઘટાડો જોવા મળશે. રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો વધારો થઈ શકે છે. ગત વર્ષે RBIએ રેપો રેટમાં 5 વખત વધારો કર્યો હતો અને રેપો રેટ 6.25 ટકા સુધી પહોંચાડી દીધો હતો.
રેટ વધવાથી બેંકો માટે RBI પાસેથી નાણાં લેવા થઈ જાય છે મોંઘા
ગત વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી બેઠકમાં MPCએ વ્યાજ દરમાં 0.35નો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. કુલ વધારો 225 બેસિસ પોઈન્ટ અથવા 2.25 ટકા કરાયો હતો. આ વ્યાજ દરમાં 3 વખત 0.50 ટકા વધારો કરાયો હતો. રેપો રેટ વધવાના કારણે બેંકો માટે RBI પાસેથી નાણાં લેવા મોંઘા થઈ જાય છે અને તેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડે છે. બેંકો પણ ગ્રાહકો માટે લોન મોંધી કરી દે છે. અગાઉથી જ હોમ લોનનો વ્યાજ દર 8.50 ટકાની ઉપર પહોંચી ગયું છે. ફરી વ્યાજ દર વધવાથી વધુ તેની ઉપર જવાની આશંકા છે.
ઘર-કાર ખરીદવું થશે મોંઘુ
જો વ્યાજ દર વધશે તો લગભગ તમામ પ્રકારની લોનો મોંઘી થઈ જશે. RBI દ્વારા રેપો રેટ વધારવાના કારણે બેંકો વ્યાજમાં વધારો કરે છે. બેંકના મોટાભાગના વ્યાજ દરો બાહ્ય પરિબળો પર આધાર રાખે છે અને આમાં સૌથી મોટું પરિબળ રેપો રેટ છે. જો કે આનો એક ફાયદો રોકાણકારોને થાય છે. બેંક FDનાં રોકાણકારોને વધુ નાણાં મળે છે. ઘણી બેંકો FD પર 7% કે તેથી વધુ વ્યાજ ઓફર કરી રહી છે.