- દેશના વિવિધ રાજ્યોના વન અને પર્યાવરણ મંત્રી, વનઅધિકારીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારીની મુલાકાત લીધી
- એકતાનગર જંગલ સફારીમાં પ્રત્યેક વન્યજીવો માટે ખુબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે કેન્દ્રીય મંત્રી પ્રભાવિત
- સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના જીવન કવનની ઝાંખી કરાવતો લેશર શો મહેમાનો માટે નવીન ઊર્જાનું કેન્દ્ર બન્યો
કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવ તેમજ દેશના વિવિધ રાજ્યોના વન અને પર્યાવરણ મંત્રીઓ, વનઅધિકારીઓ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.સરદાર સાહેબની વિશાળ પ્રતિમા ભારતની એકતા અને અખંડિતતાની પ્રતીકરૂપ છે તેમ જણાવી કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા આવનારી પેઢીમાં રાષ્ટ્રભક્તિનો ભાવ જાગૃત કરશે તેમ ઉમેર્યુ હતુ.

કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રીએ 45 માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હૃદયસ્થાનેથી અદભૂત નજારો પણ માણ્યો હતો અને વિધ્યાંચલ-સાતપુડા ગીરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું.સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર વિશેની ફિલ્મ નિહાળવા ઉપરાંત ફિલ્મ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાયેલ તસવીર પ્રદર્શન પણ તેમણે નિહાળ્યું હતું. મુલાકાત વેળાએ કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ વિભાગના રાજયમંત્રી અશ્વિનીકુમાર ચૌબે,ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગના મંત્રી કીરીટસિંહ રાણા, રાજયમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ જોડાયા હતા.આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આ સમગ્ર પ્રોજેક્ટ તેમજ વિશ્વની અન્ય વિરાટ પ્રતિમાઓની સરખામણીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિરાટત્વની ઝીણવટભરી જાણકારી પુરી પાડી હતી.
આ વેળાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના જીવન કવનની ઝાંખી કરાવતો લેશર શો પણ નિહાળ્યો હતો.આ મુલાકાત દરમિયાન તેમની સાથે દેશના વિવિધ રાજ્યોના વન અને પર્યાવરણ મંત્રીઓ અને વન અધિકારીઓ પણ જોડાયા હતા.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવે એકતાનગર સ્થિત જંગલ સફારીના વિવિધ વિભાગોની મુલાકાત લઈને વન્ય જીવોને પુરી પાડવામાં આવતી સુવિધા અને ખોરાક અંગે જાણકારી મેળવી હતી. ખાસ કરીને પ્રાણી-પક્ષીઓની લેવામાં આવી રહેલી કાળજી અને આપવામાં ખાવી રહેલી ચિકિત્સકીય સારવાર અંગે પૃચ્છા કરી હતી અને જંગલ સફારી ના વિસ્તરણની ચાલી રહેલા કામની સમિક્ષા કરી હતી.

મુલાકાત બાદ પોતાના પ્રતિભાવમાં યાદવે જણાવ્યુ હતુ કે, PM ની પ્રેરણાથી પર્યાવરણ મંત્રાલય વન્યજીવોના સંરક્ષણ માટે પ્રયાસરત છે. કેવડિયા જંગલ સફારીમાં દરેક વન્યજીવો માટે ખુબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. જંગલ સફારીની સમગ્ર મુલાકાત દરમ્યાન નિયામક ડૉ. રામરતન નાલાએ વન્ય જીવ સંરક્ષણ અને સંવર્ધન માટેના પ્રયાસો અંગે જાણકારી આપી હતી.




