ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં હવે સેમિફાઈનલની ચારેય ટીમ નક્કી થઈ ગઈ છે. જેમાં ગ્રુપ-1માંથી ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડે, તો ગ્રુપ-2માંથી ભારત અને પાકિસ્તાને ટૉપ-4માં પ્રવેશ મેળવ્યો છે. ત્યારે પહેલી સેમિફાઈનલ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાશે. જ્યારે બીજી સેમિફાઈનલ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. ત્યારે આવી સ્થિતિમાં આ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર ખરાખરીનો મુકાબલો જોવા મળી શકે છે. કેવી રીતે એ આપણે જાણીએ
અત્યાર સુધી રમાયેલા 7 T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન એકસાથે માત્ર એકવાર જ સેમિફાઈનલમાં પહોંચ્યું છે. 15 વર્ષ પહેલા, એટલે કે 2007માં આવ્યું હતું. આ પછી બન્ને ટીમ એકસાથે સેમિફાઈનલમાં પહોંચી નથી.
2007ના T20 વર્લ્ડ કપમાં બન્ને ટીમ પોત-પોતાની સેમિફાઈનલ મેચ જીતીને ફાઈનલમાં પહોંચી હતી. તે વખતે સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને, તો પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. આના પછી ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને પહેલા જ T20 વર્લ્ડ કપનું ચેમ્પિયન બનીને ક્રિકેટમાં એક નવો જ અધ્યાય શરૂ કર્યો હતો.
ત્યારે આ યાદ કરીને અને બન્ને ટીમના ફોર્મને જોઈને ફરી એકવાર બન્ને ટીમ ફાઈનલમાં આમને-સામને ટકરાઈ શકે છે.
2022માં ફાઈનલમાં ભારત-પાકિસ્તાન પહોંચવાના સમીકરણો…
પહેલું સમીકરણ: ઝિમ્બાબ્વેની સામે ટીમ ઈન્ડિયાએ જીત મેળવ્યા પછી તેઓ ગ્રુપ-2માં ટોચ પર રહ્યા છે. એટલે કે તેમને ગ્રુપ-1માં બીજા સ્થાને રહેલી ઇંગ્લેન્ડની ટીમ સામે સેમિફાઈનલમાં મેચ રમવાની થશે. જ્યારે ગ્રુપ-2માં બીજા સ્થાને રહેલી પાકિસ્તાનની ટીમ ગ્રુપ-1માં પહેલા સ્થાને રહેલી ન્યૂઝીલેન્ડની ટીમ સામે સેમિફાઈનલમાં મેચ રમશે.
બીજું સમીકરણ: પાકિસ્તાનની ટીમ એ જ ઇચ્છતી હશે કે તેમને સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમવાનું થાય, કારણ કે તેઓએ 2007માં પણ સેમિફાઈનલમાં જ ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે ભારતનો T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે રેકોર્ડ ખૂબ ખરાબ રહ્યો છે. આજ સુધી ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે એક પણ મેચ જીતી શકી નથી.
2007ના વર્લ્ડ કપની ફાઈનલની સ્ટોરી
- 2007ના T20 વર્લ્ડ કપમાં ગ્રુપ મેચ પછી ફરી બન્ને ટીમ ફાઈનલમાં ટકરાઈ હતી. ટોસ જીતીને ભારતે પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 157 રન બનાવ્યા હતા. જેમાં ગૌતમ ગંભીરે 54 બોલમાં 75 રનના મહત્ત્વની ઇનિંગ રમી હતી. તો રોહિત શર્માએ 16 બોલમાં જ 30 રન બનાવી લીધા હતા.
- ટીમ ઈન્ડિયાએ આપેલા 158 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. તેઓએ 77 રનમાં જ 6 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ મિસ્બાહ-ઉલ-હકે એક છેડો સાચવી રાખતા છેલ્લી ઓવર સુધી મેચને ખેંચી હતી. જેમાં પાકિસ્તાનને 6 બોલમાં 13 રન કરવાના હતા, ત્યારે મિસ્બાહ ઉલ હક 43 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
- આ સાથે જ ભારતે ઈતિહાસ રચી દીધો હતો. અને પહેલા જ T20 વર્લ્ડ કપનું ચેમ્પિયન બન્યું હતું. આ પછી ભારતનો ક્રિકેટમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં સુવર્ણકાળ શરૂ થયો હતો.