Published By : Parul Patel
અમેરિકાના બિન્સવિલ, ન્યુ જર્સી વિસ્તારમા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક નેતા પ.પૂ.મહંત સ્વામી મહારાજ અને રોબિન્સવિલ, ન્યૂ જર્સીના મેયર ડેવિડ ફ્રાઈડની ઉપસ્થિતિમાં રોબિન્સવિલમાં “પ્રેરણાના મહોત્સવ”નો આરંભ થયો હતો. આ મહોત્સવએ એવી ઉજવણી છે, જે હિંદુ ધર્મની વિવિધતા, કલા, સ્થાપત્ય, મૂલ્યો અને સંસ્કૃતિનાં સમૃદ્ધ તાણાવાણાને જોડે છે.
આ ઉત્સવમાં આકર્ષક રીતે રચિત શિલ્પોથી માંડીને મંત્રમુગ્ધ કરતાં નૃત્ય પ્રદર્શન અને આત્માને ડોલાવતાં કાર્યક્રમો, આ ઉત્સવના જાણે પ્રાચીન પ્રજ્ઞા અને કાલાતીત ઉપદેશોના પ્રવેશદ્વાર રૂપ બને છે. આ ઉત્સવ ઉત્તર અમેરિકાના અતિથિઓને માનવ ભાવનાને પ્રેરિત અને પ્રજ્વલિત કરતા ગહન ઉપદેશોમાં જોડાઈ જવા માટે પ્રોત્સાહિત કરે છે. તે મૂલ્યો અને સિદ્ધાંતોને સ્વીકારવાનું એવું આમંત્રણ છે, જે સમયની કસોટીએ પાર ઉતર્યાં છે. સાથે એ ‘સ્વ’ને અને વિશ્વને ઊંડાણથી જાણવા પ્રોત્સાહન આપે છે. આ પ્રેરક પ્રવાસ સર્વને પ્રેરણાની ચિનગારી પોતાના જીવનમાં લઈ જવા માટે આમંત્રિત કરે છે અને આમ તેની પરિવર્તનશીલ ઊર્જાને દૂર-દૂર સુધી ફેલાવે છે.
બીએપીએસ (BAPS) મહિલા પ્રવૃત્તિઓના રાષ્ટ્રીય સંયોજક અલક પરમારે જણાવ્યું હતું કે, “પ્રેરણાનો મહોત્સવ” જીવનના તમામ ક્ષેત્રના લોકો માટે સાર્વત્રિક મૂલ્યોને શોધવા અને સ્વીકારવા માટે એક મંચ તરીકે સેવા આપે છે, જે આપણને એક તાંતણે બાંધે છે. સાંસ્કૃતિક પ્રદર્શનો અને પ્રેરણાદાયી વાર્તાઓ દ્વારા, અમારો હેતુ વિશાળ શ્રેણીના પ્રેક્ષકોને જોડવાનો અને અર્થપૂર્ણ પ્રભાવ બનાવવાનો છે. આ મહોત્સવ વ્યક્તિને કરુણા, સમજણ અને સંવાદિતાથી ભરપૂર જીવન જીવવા માટે પ્રેરણા આપશે અને સંનિષ્ઠ બનાવશે.
ઉત્સવનો આરંભ ભક્તિ ભજન, પરંપરાગત નૃત્યો, અને મૂલ્યો તથા ઉત્સવોના મહત્વ પરના ભાષણોથી થયો હતો. પૂજ્ય આનંદસ્વરૂપદાસ સ્વામીએ મૂલ્યનિષ્ઠ જીવન જીવવાનાં સકારાત્મક પરિણામ સમજાવ્યા હતા, જ્યારે સદગુરુ પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ આવા ઉત્સવોમાં ભાગ લેવાથી થતાં ઉપસ્થિત લોકોના વ્યક્તિગત વિકાસ પર ભાર મૂક્યો હતો. ત્રણ મહિના સુધી ચાલનારા આ ઉત્સવનું ઉદઘાટન મહંત સ્વામી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. મહંત સ્વામી પોતે આજીવન મૂલ્યોની દીવાદાંડી રૂપે જીવ્યા છે. તેમની ઉપસ્થિતિએ બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામના મહત્વને વધુ અસરકારક કર્યું, જે માત્ર ઉપસ્થિતોને જ નહીં પરંતુ ભાવિ પેઢીઓને પણ પ્રેરણા આપતું રહેશ.