- 16 અને 17 ઓક્ટોબરે ચાર સ્થળે જનસભા સંબોધશે…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઇ શકે છે અને ગમે ત્યારે આચારસંહિતા લાગુ થઇ શકે છે. ત્યારે આમ આદમી પાર્ટી પોતાની પકડ ગુજરાતમાં મજબૂત કરવા માગે છે. જેને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 16 અને 17 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવી રહયા છે. ચૂંટણીની જાહેરાત પહેલા અરવિંદ કેજરીવાલ વધુમાં વધુ મતદારો સુધી પહોંચવા માગે છે. દરેક રાજકીય પક્ષો મતદારોને રીઝવવા પ્રયાસો કરી રહ્યા છે. તેઓ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મતદારોને રીઝવવાના પ્રયાસ કરશે. તેઓ બે દિવસમાં ચાર જનસભાને સંબોધન કરશે. અરવિંદ કેજરીવાલ ભાવનગર અને આણંદ સહિત ચાર સ્થળે જાહેરસભા યોજશે.
ચૂંટણીને લઇને ગુજરાતમાં કેન્દ્રીય મહાનુભાવોએ ગુજરાતના પ્રવાસ વધારી દીધા છે. પીએમ મોદી ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવવાના છે. જેમાં પીએમ મોદી 19 અને 20 ઓકટોબરના રોજ ગુજરાત આવશે. તેઓ 19 ઓક્ટોબરે ગાંધીનગર, રાજકોટ અને જૂનાગઢમાં અને 20 ઓક્ટોબરે મહીસાગર, છોટા ઉદેપુર અને કેવડિયામાં કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત પીએમ મોદી આ પ્રવાસ દરમ્યાન ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપોમાં હાજરી આપશે. જ્યારે કેવડિયામાં વિદેશ મંત્રાલયની વાર્ષિક કોન્ફરન્સમાં પણ હાજરી આપશે.