Published by : Anu Shukla
- રાજ્યમાં 1.67 કરોડ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડથી ફાયદો થયો
- આયુષ્માન કાર્ડ ધારકોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમાંકે
વડાપ્રધાન મોદી દ્વારા દેશના ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે શરૂ થયેલી આયુષ્યમાન કાર્ડ યોજના દેશના લોકો માટે ખૂબજ ઉપયોગી સાબિત થઈ છે. ગુજરાતમાં વર્ષ 2018થી લઈને અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કુલ 1 કરોડ 67 લાખ 38 હજાર 600 લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ કઢાવીને આરોગ્ય વીમા કવચનો ફાયદો મેળવ્યો છે. આયુષ્માન કાર્ડ ધારકોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમાંકે પહોંચ્યું છે.
લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડનો લાભ મેળવ્યો
ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા તમામ રજિસ્ટર્ડ અને જરૂરીયાતમંદ લાભાર્થીઓને આયુષ્માનકાર્ડથી લાભાન્વિત કરવાના સઘન પ્રયાસો હાથ ધરવામા આવ્યા છે. જેના પરિણામ સ્વરૂપ જ આટલી મોટી સંખ્યામાં ગુજરાતમાં લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડનો લાભ મેળવ્યો છે. રાજ્યનો કોઇપણ ગરીબ કે મધ્યમવર્ગીય પરિવાર આકસ્મિક બીમારીમાં ખર્ચના કારણે દેવાદાર ન બને તે માટે આયુષ્માન કાર્ડથી મહત્તમ લોકોને લાભાન્વિત કરવાનું સુદ્રઢ આયોજન સરકારે હાથ ધર્યું છે.
34 લાખ જેટલા ક્લેમ્સ નોંધવામાં આવ્યા
આગામી સમયમાં આયુષ્માન યોજના અંતર્ગત મળતું 5 લાખનું આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ વધારીને રૂ. 10 લાખ કરવા માટે રાજ્ય સરકારે વિચારણા શરૂ કરી છે. આયુષ્માન કાર્ડ અંતર્ગત દાવા નોંધણીની વાત કરીએ તો, ગુજરાતમાં અંદાજીત 34 લાખ જેટલા ક્લેમ્સ આયુષ્માન કાર્ડ અંતર્ગત નોંધવામાં આવ્યા છે. આ સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં ચોથા ક્રમાંકે છે. જ્યારે દાવા ચૂકવણીની રકમની દ્રષ્ટિએ રૂ. 6589 કરોડની રકમના દાવા નોંધણી સાથે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે.
2827 જેટલી હોસ્પિટલમાં કાર્ડનો ઉપયોગ થાય છે
ગુજરાત સરકારે તાજેતરમાં જ પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના અને મા યોજનાનું સંકલન કરીને PMJAY-મા યોજના અમલી બનાવી છે. જેના પરિણામે રાજ્યમાં આરોગ્ય વીમા કવચનો વ્યાપ પણ વધ્યો છે. હાલ ગુજરાતમાં 1974 સરકારી અને 853 ખાનગી આમ કુલ 2827 જેટલી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત સર્જરીથી સારવાર સુધીની સેવાઓ નિ:શુલ્ક પણે ઉપલબ્ધ બની છે.