બ્લોગ : ઋષિ દવે
Published by : Aarti Machhi
શનિવાર, તારીખ બીજી માર્ચ 2024. ગુજરાતની લોકસભાની ૧૫ સીટોના ઉમેદવારોના નામની જાહેરાત થઈ તેમાં ભરૂચ લોકસભાની સીટ પરથી મનસુખ વસાવા આપનું નામ જાહેર થયું. સાતમી વખત આપ ભરૂચની લોકસભા પરથી વિજય બનીને દિલ્હી પાર્લામેન્ટની પાટલી થપથપાવશો.
સી આર પાટીલ રાજકારણની શતરંજના મહારથી છે. એમણે સાડા ચાર લાખ આદિવાસી મતદારોને ધ્યાનમાં રાખીને આપ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

અત્યાર સુધીમાં ૧૮ વખત લોકસભાની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ ૮ વખત જીત્યું અને ભારતીય જનતા પાર્ટી ૧૦ વખત જીત્યું હતું. ૧૯૫૧માં પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસના ચંદ્રશેખર ભટ્ટ સાંસદ બન્યા હતા. ૩ વખત અહેમદભાઈ પટેલ વિજેતા બન્યા ત્યારે ભરૂચની લોકસભાની સીટ કોંગ્રેસનો ગઢ મનાતો. એ પછી ચંદુભાઈ દેશમુખ ૪ વાર સાંસદ બન્યા અને પછી આપનો સિક્કો સતત છ વખતે વિજયપતાકા લહેરાવતો ગયો.
હોસ્ટેલ ગ્રાઉન્ડ પર નરેન્દ્ર મોદીએ આપને પ્રમાણિક નેતા કહી ગળે લગાવ્યાં હતા. સી.આર.પાર્ટીલે તો વર્ષ ૨૦૨૩માં જ સ્પષ્ટ શબ્દમાં ગર્ભિત ઈશારો કરેલો કે હવે ટિકિટ મેળવવી હોય તો આપનું કાર્યાલય જોઈશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમીત શાહ સહિત ગુજરાતના ૨૬માંથી ૧૫ ઉમેદવારોના નામ ઘોષિત કર્યા.

ભરૂચ જિલ્લાની પ્રજાએ, આદિવાસીઓએ, કમળને જ વોટ આપતા મતદારોએ આપને મત આપ્યા છે. આપ સ્પષ્ટવકતા છો, આપ ખોટું ક્યાંય પણ થાય તો નજરઅંદાજ કરી શકતા નથી બલ્કે બેધડક ભૂલ કરનારને ખખડાવી તેને પાણી પાણી કરી નાખ્યા છે. ખંધા રાજકારણીની વ્યાખ્યામાં આપ કદી પણ બંધ બેસી શકો નહિં. ‘બગલ મે છૂરી ઓર મુખમેં રામ’ જેવા આપની આસપાસ ફરકતાના પેટમાં આપને ટિકિટ મળતા તેલ રેડાયું હશે? એમને આપ મનોમન જાણો છો, એમનાથી સાવધ રહેજો. હવે આપ હારવા માંગો તો પણ ભરૂચ જિલ્લાના મતદારો ઇવીએમનું કમળ નિશાનનું બટન દબાવશે અને સાતમીવાર આપ ભરૂચના સાંસદ બનશો. વંદે માતરમ, ભારત માતાકી જય.