મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં આવેલી વિવિધ મીઠાઈ, ફરસાણ સહિતની દુકાનોમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગત મહિને શ્યામલ ચાર રસ્તા પાસેથી છાસવાલા નામની દુકાનમાંથી લેવામાં આવેલા મઠામાં જંતુ નીકળ્યા હતા. જેને લઇ છાસ વાલાની તમામ દુકાનોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે અને પ્રેમ દરવાજા પાસે આવેલી છાસવાલાની બંને દુકાનોમાંથી મઠો અને દૂધની બનાવટોમાંથી લેવામાં આવેલા નમૂના અપ્રમાણિત જાહેર થયા હતા. જ્યારે શ્યામલ ચાર રસ્તા પાસે આવેલી છાસવાલા નામની દુકાનમાંથી પણ મેંગોનો નમૂનો અપ્રમાણિત જાહેર થયો હતો.
40 શંકાસ્પદ નમૂના લેવાયા હતા આપને જણાવીએ કે, ફુડ વિભાગ દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં 61 જેટલી વિવિધ દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. જેમા 40 શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા છે. જેમાં દૂધ, દૂધની બનાવટ, મસાલા, મીઠાઈ, ખાદ્યતેલ વગેરેના નમૂના લેવાય છે. 3 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર સુધીમાં શહેરની વિવિધ દુકાનોમાંથી બેસન-ઢોકળાનો લોટના 08, દૂધ – દૂધની બનાવટની 05, મસાલા 08, સ્વીટ 03 અને અન્ય – 14 એમ કુલ 40 જગ્યાએથી નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાને મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
મેંગો મઠામાંથી જીવાત નીકળી હતી. ગત મહિને શહેરના શ્યામલ ક્રોસ રોડ પાસે આવેલી છાશવાલા નામની દુકાનમાંથી ખરીદેલા મેંગો મઠોમાં મકોડા સહિતની જીવાત નીકળવા અંગેની ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે દૂધ અને દૂધની બનાવટોના સેમ્પલ લેવાની સાથે સાથે છાશવાલાને નોટિસ ફટકારી અને દસ હજારનો વહીવટી ચાર્જ પણ વસૂલ કર્યો હતો.મેંગો મઠામાં મરેલા મકોડા જેવી જીવાત નીકળી હોવા અંગે જાગૃત નાગરિકની ફરિયાદને ગંભીરતાથી લઇ મ્યુનિ. ફૂડ વિભાગે છાશવાલાની દુકાનમાંથી સેમ્પલ લઈને તપાસ માટે મોકલી આપ્યા હતા.