Published By : Patel Shital
- દેશનું એકમાત્ર શક્તિપીઠ જ્યાં રોજ 1051 દીવાઓની આરતી થાય છે…
ભારતના મધ્યપ્રદેશમાં મહાકાલની નગરી તરીકે પ્રખ્યાત થયેલી ઉજ્જૈન નગરીમાં આવેલ માતા હરસિદ્ધિનું ભવ્ય મંદિર આવેલુ છે. જે 51 શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે તેવા માતા હરસિદ્ધિના દરબારમાં દરરોજ 1051 દીવાઓ સાથે આરતી કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન દેશભરમાંથી ભક્તો માતાના આશીર્વાદ મેળવવા માટે અહીં આવતા હોય છે. હરસિદ્ધિ માતાના મંદિરમાં અન્ય માતાના મંદિરોની સરખામણીમાં અલગ પરંપરાઓ સાથે પૂજા અને આરતી કરવામાં આવે છે.

આ જગ્યાએ માતાની કોણી પડવાના કારણે કરાઈ શક્તિપીઠની સ્થાપના. હરસિદ્ધિ માતાના મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ બ્રહ્મ મુહૂર્તમાં માતા હરસિદ્ધિનો દરબાર ખુલે છે. આ પછી દૂધ, દહીં, મધ, ખાંડ, જળ વગેરેથી પંચામૃત પૂજન અને અભિષેક કરવામાં આવે છે. ભક્તો માટે માતાનો દરબાર સોળ શણગાર પછી ખોલવામાં આવે છે. મંદિર પરિસરમાં 1051 દીપ માલિકાઓ છે, જે આરતી દરમિયાન પ્રગટાવવામાં આવે છે.
માતા હરસિદ્ધિને સમ્રાટ વિક્રમાદિત્યની આરાધ્ય દેવી માનવામાં આવે છે. મંદિરના પુજારીના જણાવ્યા મુજબ સમ્રાટ વિક્રમાદિત્ય માતાના આશીર્વાદ લેવા માટે દરરોજ મંદિરમાં જતા હતા. અનેક કથાઓમાં પણ આ જગ્યાનું વર્ણન કરવામાં આવ્યુ છે. નવરાત્રિ દરમિયાન જે પણ ભક્ત માતાના દરબારમાં ભક્તિભાવથી આવે છે તેની મનોકામના પૂર્ણ થાય છે.

માતા હરસિદ્ધિના મંદિરમાં નવદુર્ગાના એકસાથે દર્શન થાય છે. મંદિરના પંડિતના જણાવ્યા મુજબ હરસિદ્ધિ મંદિરમાં મુખ્ય મૂર્તિ માતા હરસિદ્ધિની છે. આ ઉપરાંત માતા અન્નપૂર્ણા તેમની ઉપર બિરાજમાન છે, જ્યારે નીચે મા કાલિકાના દર્શન થાય છે. માતા કાલિકાની આજુબાજુ છ દેવીઓ બિરાજમાન છે. આ રીતે હરસિદ્ધિ માતાના મંદિરમાં માતા નવદુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.