Published by : Rana Kajal
- આદિવાસી મસીહા ઝઘડિયાના છોટુ વસાવાનું હાર બાદ 5 મહિને નિવેદન આવ્યું સામે
- ઝઘડિયા GIDC આદિવાસીઓના ભાગલા કે દબાવવા માટે નહીં, લોકોને જીવવા માટે છે
વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ ઝઘડિયા GIDC ગેંગવોર મામલે આદિવાસી મસીહા છોટુ વસાવાનું નિવેદન સામે આવ્યું છે. ભાજપ સરકારે જ ઉભી કરેલી આ ગેંગ ગણાવી, જિલ્લામાં ડ્રગ્સ અને હથિયારો પકડાવામાં પાકિસ્તાન કનેક્શન હોવાનું તેમને લાગતું હોવાનો આક્ષેપ કર્યો છે.
ઝઘડિયા GIDC માં કંપની કોન્ટ્રાકટ મુદ્દે ફાયરિંગ અને વાહનોની તોડફોડમાં ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ નિવેદન આપ્યું છે. તેઓએ પોલીસ એટલે સરકાર અને ભાજપ સરકાર જ આવી ગેંગ ઉભી કરી આગામી લોકસભા ચૂંટણીને લઈ કૃત્ય કરી રહી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
ગેંગવોરની ઘટનાના હાલના જ આરોપીઓ પૈકી મોટા ભાગના સામે એક વર્ષ પેહલા પણ ઝઘડિયા પોલીસ મથકે આવી જ ફરિયાદ નોંધાઇ હતી. જોકે પોલીસે તેમાં તપાસ કરી નહિ હોવાનો છોટુ વસાવાએ આક્ષેપ કર્યો છે.
હાલનું ગેંગવોરનું કૃત્ય પણ પોલીસની રહેમ નજર હેઠળ જ કરાયું હોવાની કેફિયત પૂર્વ ધારાસભ્યએ વ્યક્ત કરી છે. આટલે થી નહિ અટકી તેઓએ તો જિલ્લામાં પકડાયેલા કરોડોના ડ્રગ્સ અને હથિયારોમાં પણ આ જ ગેંગ હોવાનું અને પાકિસ્તાન કનેક્શન હોવાનું કહી દીધું છે.
આ ગેંગ સરકાર દ્વારા જ ઉભી કરાઈ હોવાના આરોપ સાથે તેઓએ ઝઘડિયા GIDC આદિવાસીઓના ભાગલા કે દબાવવા માટે નહીં પણ લોકોને જીવવા માટે હોવાનું કહી. આગામી સમયમાં જરૂર પડે આંદોલન છેડવાની પણ ચીમકી ઉચ્ચારી છે.