- વન વિભાગનો નવતર પ્રયોગ:પાવાગઢ ડુંગર વિસ્તારમાં આગના બનાવોને અટકાવવાના ભાગરૂપે કોકોપીટનું સફળ નિર્માણ કરાયુ….
ગુજરાતનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર અને જંગલ વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓને અટકાવવા અને નિજ મંદિરની નીચેના ભાગમાં થતી ગંદકીને અટકાવવા માટે પંચમહાલ વન વિભાગ દ્વારા નવતર અને સરાહનીય અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેને સફળતાં સાપડી રહી છે અત્યાર સુધી આગને બૂઝાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડતી હતી પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે હાલમાં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે અને આ દર્શનાર્થી મા મહાકાળીના ચરણોમાં શ્રીફળનો ચઢાવો ચઢાવતા હોય છે.આ છોતરા-કૂચાની સફાઈ દરમિયાન તેને સળગાવી દેવામાં આવે છે. ત્યારે આ છોતરા-કૂચાના ઢગલાની આગ પ્રસરીને પ્રથમ તો ડુંગરના સુકા ઘાસમાં અને બાદમાં પવનની દિશામાં સમગ્ર ડુંગર વિસ્તારમાં પ્રસરે છે. ડુંગરોની હારમાળાના જંગલ વિસ્તારમાં આગ લાગે છે. ત્યારે આ આગને બૂઝાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડે છે અને જંગલ તેમજ તેમાં વસતા પશુ પંખીઓ માટે પોતાનું અસ્તિત્વ બચાવવું પણ એક પડકાર બનતું હોય છે.
દાવાનળ નાં પગલે ખૂબ સમસ્યાઓ સર્જાતી હતી. પરંતુ આ ગંભીર સમસ્યાના નિવારણ માટે જિલ્લાના વન સંરક્ષક દ્વારા સમગ્ર બાબતનુ ઘનિષ્ઠ અધ્યયન કરવામાં આવ્યા બાદ એક નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા વન વિભાગ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સાથે સાથે ડુંગર પર લાગતી આગની ઘટનાઓ પર મહદઅંશે કાબૂ મેળવી શકાય તે પ્રકારનો પ્રોજેક્ટ અમલમાં મૂકી તેને કાર્યરત કરવામાં આવ્યો છે. જેની વિગત જોતાં પાવાગઢ મુખ્ય મંદિરની નીચેના ભાગે શ્રીફળના છોતરાં-કૂચા ખુબ જ મોટા પ્રમાણમાં હોય છે. જેને વન વિભાગ દ્વારા એકત્ર કરવામાં આવે છે અને પાવાગઢ માંચી ખાતે બનાવવામાં આવેલા કોકોપીટ યુનિટ ખાતે લાવવામાં આવે છે અને અહીં આધુનિક મશીનો દ્વારા આ શ્રીફળના છોતરાં-કૂચામાંથી કોકોપીટ (નારિયેળના કૂચાનો ભૂકો) બનાવવામાં આવે છે. આ કોકોપીટનો ઉપયોગ વન વિભાગ જાતે જ જિલ્લામાં આવેલી પોતાની નર્સરીમાં કરે છે.