Published By : Parul Patel
- રજાના દિવસે અઢી ફૂટ પહોળા અને 20 ફૂટ ઊંડા ડ્રેનેજમાં કામદારોને ગેરકાયદે સાફ કરવા ઉતારતા સર્જાયેલ હોનારત
- સરપંચ જયદીપસિંહ રણા અને ડે. સરપંચ શોભનાબેન ગોહિલને દૂર કરવાનો DDO નો હુકમ
- ડે. મહિલા સરપંચનો કારભાર દુર્ઘટના માટે દોષી, પતિ મહેશ ગોહિલ ચલાવતો
દહેજમાં મુખ્ય ડ્રેનેજ સાફ કરવા રજાના દિવસે ગેરકાયદે 3 સફાઈ કામદારોને ઉતારી તેમના મોતના જવાબદાર સરપંચ અને ડે. સરપંચને DDO એ હોદા પરથી દૂર કરી દીધા છે.
દહેજમા ગામની મુખ્ય ગટરમાં રજાના દિવસે ગેરકાયદે સરપંચ જયદીપસિંહ રણા, મહિલા ડે. સરપંચના પતિ મહેશ ગોહિલે ત્રણ સફાઈ કામદારોને અઢી ફૂટ પહોળી અને 20 ફૂટ ઊંડી ગટરમાં ઉતાર્યા હતા.
મશીનથી સાફ કરાવવાની ડ્રેનેજમાં માણસોને વગર સુરક્ષાએ ઉતારતા ગૂંગળામણથી ત્રણેય સફાઈ કામદારો મોતને ભેટ્યા હતા. જે ઘટનાના રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સુધી ઘેરા પ્રત્યાઘાત પડવા સાથે રાજ્ય સરકારને પણ નોટિસ અપાઈ હતી. રાષ્ટ્રીય હ્યુમન રાઇટ્સના અધ્યક્ષ ભરૂચ દોડી આવી મૃતકોના પરિવારને સહાયની જાહેરાત પણ કરાઈ હતી.

ભરૂચ પોલીસે પણ ઘટનામાં દોષિત સરપંચ, ડે. સરપંચના પતિ અને તલાટી સામે સદોષ માનવ વધનો ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરી હતી.
અગાઉ તલાટીને હોદા પરથી દૂર કરાયા બાદ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી પી. સી. જોષીએ દહેજ સરપંચ જયદીપસિંહ રણા અને મહિલા ડે. સરપંચ શોભના મહેશ ગોહિલને હોદા પરથી દૂર કરી દીધા છે.પંચાયતની ટર્મ પૂર્ણ ન થાય કે કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી બન્ને ફરજ મોકૂફ રહેશે.