શ્રાવણ મહિનાના વદ પક્ષની પાંચમના રોજ નાગ દેવતાની પૂજા કરવાની પરંપરા છે. જેને નાગપાંચમ કહેવામાં આવે છે. આ વખતે આ તહેવાર મંગળવાર, 16 ઓગસ્ટના રોજ છે. શિવજી નાગ દેવતાને પોતાના ગળામાં ધારણ કરે છે. શિવલિંગ સાથે નાગ પ્રતિમા પણ ચોક્કસ રાખવામાં આવે છે. આ પર્વમાં જીવિત સાપની પૂજા કરવી નહીં. આ દિવસે નાગ દેવની પ્રતિમા કે તસવીરની જ પૂજા કરો.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શાસ્ત્રોમાં દેવી-દેવતા, મનુષ્યો, રાક્ષસો, કિન્નર, ગંધર્વ સાથે જ નાગ સાથે સંબંધિત અનેક કથાઓ ઉલ્લેખવામાં આવી છે. પાતાળ લોકો, મૃત્યુ લોકની જેમ જ નાગ લોક પણ જણાવવામાં આવે છે. સનાતન ધર્મમાં પક્ષી અને પશુઓને પણ પૂજવાની પરંપરા છે. કેમ કે, આ બધા પ્રાણી પણ પર્યાવરણને સંતુલિત રાખવામાં મદદગાર હોય છે. આ કારણે નાગને પણ પૂજનીય માનવામાં આવે છે.
સાપ ઉંદરોથી આપણું અનાજ બચાવે છે
પં. શર્માના જણાવ્યા પ્રમાણે જો ઉંદરની સંખ્યા વધારે થઈ જાય તો આપણું બધું જ અનાજ નષ્ટ થઈ જશે. સાપ ઉંદરોને ખાઈ જાય છે. સાપના કારણે ઉંદરોની સંખ્યા સંતુલિત રહે છે અને આપણો પાક બચી જાય છે. સાપના આ ઉપકારના કારણે પણ સાપને પૂજવાની પરંપરા છે.
ક્યારેય જીવિત સાપની પૂજા ન કરો
સાપ ઝેરી હોય છે અને તેના ડસવાથી વ્યક્તિ મૃત્યુ પામી શકે છે. એટલે જીવિત સાપથી દૂર જ રહેવું જોઈએ. નાગપાંચમે નાગ દેવની પ્રતિમાની પૂજા કરો. જીવિત સાપની પૂજા કરવી નહીં કે સાપને દૂધ પીવડાવવું નહીં. દૂધ સાપ માટે ઝેર સમાન હોય છે. દૂધના કારણે સાપ મૃત્યુ પામી શકે છે. આ પ્રકારે જીવ હત્યાનું પાપ દૂધ પીવડાવનાર વ્યક્તિને પણ લાગે છે. એટલે કોઈ શિવ મંદિરમાં અથવા નાગ મંદિરમાં નાગ દેવની પૂજા કરો.

નાગ પૂજામાં ધ્યાનમાં રાખો આ બાબતો
નાગ પૂજનમાં હળદરનો ઉપયોગ ખાસ કરવો જોઈએ. નાગ મંદિરમાં ધૂપ, દીપ પ્રગટાવો. મીઠાઈનો ભોગ ધરાવવો. નારિયેળ અર્પણ કરો. આ દિવસે સપેરાઓને વસ્ત્ર, અનાજ અને ધનનું દાન કરી શકો છો, જેથી તેઓને પણ નાગપાંચમના દિવસે લાભ થઈ શકે.