Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAnkleshwarબ્લોગ: નરેશ ઠક્કર, ભરૂચ...✍️ ગુજરાતની જીવાદોરી એવી નર્મદાનું માનવસર્જિત મનાતું 17 સપ્ટેમ્બરનું...

બ્લોગ: નરેશ ઠક્કર, ભરૂચ…✍️ ગુજરાતની જીવાદોરી એવી નર્મદાનું માનવસર્જિત મનાતું 17 સપ્ટેમ્બરનું હેપ્પી બર્થ ડેનું પુર ભારે તબાહી મચાવી ગયું…

Published By : Parul Patel

  • ✍️ ગુજરાતની જીવાદોરી એવી નર્મદાનું માનવસર્જિત મનાતું 17 સપ્ટેમ્બરનું હેપ્પી બર્થ ડેનું પુર ભારે તબાહી મચાવી ગયું…
  • ✍️ નેતાઓને પહેલીવાર કદાચ ભરૂચની જનશક્તિ, જન આક્રોશનો કડવો અનુભવ કરવો જ રહ્યો, નિષ્ફળ નેતૃત્વ શરમ પણ અનુભવતું નથી…
  • ✍️ દીવા ગામના જનાક્રોશ વહીવટી અને રાજકારણીઓને પણ હતપ્રભ કરનારો રહ્યો..પ્રજાનું દર્દ ભયાનક અને સાચી સંવેદના ભર્યું જ છે…

નાના હતા ત્યારે ગુજરાતીના વિષયમાં મહાન સાહિત્યકાર અને કવિ ઉમાશંકર જોશીની સોનેટ રચના, “જઠરાગ્નિ” ભણતા હતા ત્યારે હમેશા વિચારતા કે જ્યારે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે….ખંડેરની ભસ્મકણી ના લાધશે…એ પંક્તિનો વિચાર વિસ્તાર કરવાનું કહેતા, અને કેટલાક ભયાવહ દ્રશ્યો નજર સમક્ષ તરવરવા લાગતા…આજે આ પંક્તિ યોગાનુયોગ યાદ આવી 17 સપ્ટેમ્બરનો જન્મોત્સવ મનાવવાની લ્હાયમાં ભાન ભૂલેલી રાજસત્તાની ભયાનક ભૂલના કારણે, છતાં વિશાળ બંધની હાજરીમાં રેવાના રૌદ્ર રૂપે જિલ્લાને પિંખી નાખ્યો…રસતાળ કર્યો…ખેતી, વ્યાપાર, ઘરવખરી, ઢોર ઢાખર સુધ્ધાં નદીના પ્રવાહમાં અકારણ, અવ્યવસ્થા, હેતુસરના અજ્ઞાનના પાપે વેરવિખેર થયાં, ભારે વિનાશના નિમિત્ત બન્યા, અને ત્રાસદી ભોગવનાર પીડિતોનો જઠરાગ્નિ તો ઠીક જનાક્રોશ જાગી ઉઠ્યો…જનતા 48 કલાક ચારેકોર પાણી પાણી જોઈને માનસિક, શારીરિક, આર્થિક યાતનાઓના પરિણામે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર પર રોષે ભરાઈ છે…જેનો આજે નેતાઓ અને વહીવટી વડાઓ ભોગ બની રહ્યા હોવાનું મીડિયા જોઈ રહ્યું છે…

ભૂતકાળમાં અનેક વાર નર્મદાએ રૌદ્ર સ્વરૂપ ભરૂચ અને આસપાસના વિસ્તાર, છેક MP થી જ ગાંડી બની, મહારાષ્ટ્ર સહિત ગુજરાતમાં સવિશેષ 1968 માં,1970માં હાહાકાર મચાવનાર આ પવિત્ર નદીએ એને નાથવા મથતાં ગુજરાતના નેતાઓની અછકલાઈ, અપરિપક્વતા, અવળચંડાઈ જ સબક શીખવવા, ભારે વિનાશ વેરી મતનું, ખુશામતનું રાજકારણ હચમચાવી દીધું છે…બહુ મોટો પાઠ નેતાઓને, ઉચ્ચ અધિકારીઓને તો ભણાવ્યો છે પણ બિચારી નિર્દોષ પ્રજા બહુ ભારી નુકસાન વેઠી ચુકી છે…

વાત જાણે એવી સાંભળવા મળી છે કે, ગુજરાતના નાથ બનેલા ભુપેન્દ્ર (ભૂપ+ઇન્દ્ર) વડા પ્રધાન નરેન્દ્ર (નર+ઇન્દ્ર) મોદીજીની પરમ કૃપાને પામવા 17 સપ્ટેમ્બરે નર્મદા ડેમ છલકાવી, વધામણાં આપવા ઉત્સુક હતા, કેહવાય છે 5-6 દિવસ પૂર્વેથી જ ડેમમાંથી પાણી નિયમિત અને પ્રમાણસર છોડવાનું બંધ કરી દઈ, ડેમને ચિક્કાર ભરી દેવાયો હતો, જેને 16 મીની મધ્યરાત્રીએ જ છોડવાનું શરૂ કરાતાં નર્મદાનું જળ એના કાંઠા તોડી, ચારેકોર રૌદ્ર સ્વરૂપમાં વહેવા લાગ્યું હતું…અને એ વહેણમાં નેતાઓ, વહીવટીતંત્રની માણસાઈ પણ વહી ગઈ…કોઈ પાક્કી ગણતરી, આગાહીઓ, આગોતરી જાણ વિના, ચિક્કાર ભરી દીધેલો ડેમ ડેમેજ ના થઈ જાય, એ બીકે તમામ 23 દરવાજાઓ -ગેટ,સરકારી, ટેક્નિકલ ગાઈડલાઈનની એસી તૈસી કરીને ખોલી દેવાતા,18 લાખ ક્યુસેક લીટરથી પણ વધુ પાણી ફિલ્ડમાં અવિચારી પણે, ભારે ઝડપથી છોડી દેવાયું…જેણે ભૂતકાળની તમામ અનુભવોને ભુલાવી દે, એટલી સ્પીડે પાણીનો પ્રવાહ ફિલ્ડમાં આવ્યો કે પ્રજા ઊંઘમાંથી ઉઠે, જાન માલ બચાવે, એ પહેલા પાણીએ ઘર વખરી, ઢોર ઢાંખર, પ્રોપર્ટી, ખેતીવાડી ઉજ્જડ-વેરાણ કરી નાખી…પ્રજા હતપ્રભ બની ગઈ…અંધાધૂંધી ફેલાઈ ગઈ…કોઈ કાંઈ સમજે, વિચારે એ પૂર્વેજ પરિસ્થિતિ કાબુ બહાર નીકળી ગઈ…શનિવાર રાતથી રવિવાર રાત સુધીમાં વિનાશ ફેલાઈ ચુક્યો હતો. વહીવટી તંત્ર પણ પૂર્વ સાવધાની કે માહિતી ના અભાવે ઝાઝું કાંઈ કરી શકે એવી સ્થિતિમાં નહતું. ભૂલ રાજ્ય સરકારની હાયર ઓથોરિટીની જ હોવી જોઈએ. જિલ્લાનું તંત્ર કેટલું માહિતગાર હતું, એ ખુદ જાણે…પણ રાજ્ય સરકારની તો વાટ લાગી જશે એ નક્કી…હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી આ મુદ્દો લઈને કોંગ્રેસ – વિરોધપક્ષ પહોંચશે એ પણ નક્કી…

આખા વિનાશક વાતાવરણમાં જકડાઈ ગયેલી પ્રજા, વહીવટી તંત્ર અને અસંવેદનસીલ કે ચડીચુપ થયેલું, યા કહો મોદી સાહેબની બર્થડે માનવવામાં વ્યસ્ત ભાજપ સંગઠન રવિવાર સુધી લગભગ સૂમ મારી ગયું હતું. એક ઇશ્વરસિંહનું અંકલેશ્વર લગભગ પાણીમાં હોઈ એ મેદાને દેખાયા…પરંતુ લોકશાહીની ચોથી જાગીર એવા મીડિયા, અને તે પણ વિઝ્યુઅલ મીડિયાનાં એજ એક સંદેશવાહક-પત્રકારો સહિત સોશિયલ મીડિયા એ બહુજ શ્રેષ્ઠ સેવા-જાગૃતિ બતાવી…પ્રજાની યાતના, પીડા,સરકારની નિષ્ફળતા અને જડતા સમાજ સમક્ષ નીડરતા પૂર્વક મૂકી, ઘણા બધા આવી નિર્ભિક પત્રકારત્વથી નારાજ પણ થયાં…પણ હવે “બધું મેનેજ” કરવું સોશિયલ મીડિયાનાં રાજમાં શક્ય રહ્યું પણ નથી. અને જેમના માથે “વિરોધી”નું રાજનેતાઓ એ ટેગ માર્યું છે, બે ચાર મિત્રો ને ‘ઓબલાઇજ’ કરી લેવાથી કશું છુપાતું નથી, સંતાળાતું નથી, એ ભરૂચ ભાજપના મોવડીઓને ગોખાઇ ગયું છે. મીડિયાએ એનો સંપૂર્ણ ધર્મ ખાસ કોઈ અપેક્ષા વિના બજાવ્યો છે, ને પ્રજાએ ભરપેટ બિરદાવ્યો પણ છે…જે જોયું એ બધું જ પ્રજાને બતાવવાનો ધર્મ ટિમ નર્મદાએ કર્તવ્યનિષ્ઠ બનીને બજાવ્યો છે, ના ગમ્યું હોય તો એમની તકલીફ. પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ કરાવેલો ફોટો સેશન જોઈને પણ સમસમી જવાય એવું છે. આ કોઈ ફોટો સેશનવાળી દુર્ઘટના હતી જ નહીં…સેવા નહીં, સમર્પણનો પ્રસંગ હતો,છે, ને રહેશે. હા, કેટલીક સેવાભાવી સંસ્થાઓ, NGO તાત્કાલિક બહાર આવી, એમને પ્રોત્સાહિત કરવાનું કામ પણ વિઝ્યુઅલ મીડિયા બજાવી રહ્યું છે…મીડિયા, સેવાભાવી સંસ્થાઓ થકી ત્રસ્ત પ્રજાનું દર્દ ઓછું થાય ના થાય ત્યાં રાજકારણીઓ ઈજ્જત સાચવવા અને વહીવટી તંત્ર કર્તવ્યપાલન માટે જેવું બહાર આવ્યું કે જનાક્રોશ ભભકી ઉઠ્યો…પ્રજાની સહિષ્ણુતા જ હણાઈ ગઈ, જે દર્દ હૈયે હતું એ બધું જ હોઠે આવ્યું…ચેનલ નર્મદાએ દરેક અસરગ્રસ્ત વર્ગને કવર કરી એની વેદના ચેનલ, ન્યૂઝ અપડેટ દ્વારા,FB દ્વારા જનતા સમક્ષ મૂકી છે…શબ્દો – વ્યથા વ્યક્ત કરી છે…આ બ્લોગમાં પણ કલીપમાં આક્રોશ જ મુક્યો છે, અમે નથી બોલ્યા, કે બોલાવ્યું…પ્રજાની વાચા, હૈયા વરાળ, વાસ્તવિક અનુભવો અને આઘાત પણ જોઈ શકાય છે…રિપોર્ટ પ્રમાણે ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીને કદાચ પહેલીવાર આવો આક્રોશ, નફરત, ક્રોધ, રોષ નો ભોગ બનવું પડ્યું છે. નેતાઓ દોષનો ટોપલો પોતાના માથે લેતાં જ નથી…એટલે ટોપીઓ બીજાઓને જ પહેરાવશે…પણ આ રાજકારણ રમવા-રમાડવાનો પ્રસંગ છે જ નહીં. મને એક દર્શક દ્વારા મોબાઈલ કરી કહેવામાં આવ્યું કે ભાજપના એક બહુ મોટા નેતાએ ઈશારો કરી પત્રકારોના કેમેરા બંધ કરાવી પ્રજાની પીડા, આક્રોશનું શૂટિંગ લેતા રોક્યા, જો આ વિઝ્યુઅલ મારી પાસે આવશે તો હું એને મારો પત્રકારત્વની ધર્મ સમજી ચોક્કસ જાહેર કરીશ…હું એવી સેહ શરમ નહીં ભરુ…અરુચિકર,બિભત્સ, કોઈની જિંદગીને જોખમમાં મુકતા સિવાયના સમાચારો માટે હું, જીગર, ટિમ હમેશા રેડી હતા, છે ને રહીશું…જો સત્યને ઉજાગર કરવાના અમારા ધર્મ પાલન કરવા જતાં કોઈની વ્યક્તિગત લાગણી, ઈચ્છા કે સ્વમાન ઘવાયું હોય તો ક્ષમા પ્રાર્થના…ચેનલ નર્મદા આ રેલ કાંડ માટે એનું પ્લેટફોર્મ પ્રજા માટે ખુલ્લું મૂકે છે, રાખે છે.

એક પણ કેઝ્યુઅલિટી ના કહેનાર તંત્રનું પણ નાક કપાય એવા ન્યૂઝ આવી રહ્યા છે. જો કે માહિતી કન્ફર્મ કરાઈ રહી છે…મૃતક માનવીઓની સંખ્યા મળશે એટલે અપડેટમાં અક્ષરસહ મુકીશું…ઢોરો તો અસંખ્ય તણાયા છે. અને આંગણામાં સલામત ગણાતી અસંખ્ય મોંઘી ડાટ ગાડીઓનો ઉભા ઉભા વીમો ફેલ ગયો છે. મારા દર્શકો આવી તસવીરો શેર કરે…98250 66800 પર…યા મારા આ બ્લોગ પર મૂકે…તમારું દર્દ અમે લોકો, તંત્ર કે કહો સરકાર સુધી પહોંચાડીશું….હજુ તો ઘણા ગરમ ગરમ બ્લોગ લખવા પડે એવા દિવસો આવી રહ્યા છે, જે ઘણાને દઝાડશે…✍️ભારત માતા કી જય…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!