Published By : Parul Patel
- ✍️ ‘રેવા’ની રેલએ જન્મવ્યો જન આક્રોશ,તો એમાં પણ ખેલાઇ રહ્યું અમાનવીય રાજકારણ??
- ✍️ દુર્ઘટના કોઈ પણ હોય,અક્ષરસહ સત્ય અહેવાલ આપવો,એ પ્રત્યેક મીડિયાનો ધર્મ છે: રેલમાં પ્રિન્ટ મીડિયાએ પણ આ પૂર્ણ ધર્મનું પાલન કર્યું.
- ✍️ દાયકાઓમાં પહેલી વાર પ્રજાના તિરસ્કારનો ભોગ બનેલાઓ રાજકિય દોષારોપણ પર ઉતરી આવ્યા…??
ટીકા કોઈને પણ ગમતી નથી, અને પ્રસંશા પ્રભુને પણ પ્યારી હોય છે…આ એક બહુ કડવી વાસ્તવિકતા છે…એ કબીરજી હતા કે કહી/લખી ગયા કે, “નીંદક નીયરે રાખીએ, આંગન ફૂટી છવાય, બિન પાની, સાબુન બીના, નિર્મલ કરે સુભાય…” આજના કળિયુગમાં કોણ કબીરજીને સાચા સમજે, માને કે સ્વીકારે?? આજે તો ટીકાકાર એટલે શત્રુ, દુશ્મન..જ્યારે ચરણચાટુકારો, ખુશામત ખોરોનો તો રાફડો ફાટે…વાહ વાહી કરો, અને વૈભવ, સુખ,શાંતિને સમૃદ્ધિ લૂંટાય એટલી લૂંટો…એજ ધર્મ, એજ કર્મ અને એજ પૂંજા…ટીકાનો માર્ગ જ કાંટાળો છે, કોણ પસંદ કરે??? પણ લોકશાહીમાં ચોથો સ્તંભ એવી પ્રહરી સંસ્થા એટલે ચોથી જાગીર, મીડિયાએ મહદઅંશે ટીકાના માર્ગે, સત્યના માર્ગે ચાલવું અનિવાર્ય હોય છે, પણ કમનસીબે એ બધા કરી શકતા નથી…મીડિયામાં નામ છે, તો દામ પણ છે…જેઓ લક્ષ્મીના દાસ બને છે એ દરિદ્ર નારાયણ કે જનતાના સાચા સેવક, લોકશાહીના રક્ષક બની શકતા નથી…આજ કાલ મીડિયા બહુજ બદનામ બની રહ્યું છે, કારણ એ રોજી રોટી અને વૈભવ પરાયણ બન્યું છે. છેલ્લા 10 વર્ષમાં તો રીતસરના મીડિયામાં બે ફાંટા દેશ લેવલે પડ્યા છે, ગોદી મીડિયા અને ઓરીજીનલ મીડિયા…જેનો રેસિઓ 70-30%નો બની ગયો છે…આ અંગે વિગતે બ્લોગ ફરી કોઈ વાર…પણ આજે ગઈકાલના અનુસંધાનમાં એટલું જરૂર કહેવું છે, સુખ સાહ્યબી અને વાહ વાહીમાં ઉછરેલા, જીવતા નેતાઓએ જે ભરૂચની જનતાનો રોષ, આક્રોશ, ગુસ્સો, નફરત જોઇ…રેલ પછી ભયાનક વિનાશ-યાતનાઓ બાદ…એ એમના માટે અસહ્ય બની ગયો છે, કહો હતપ્રભ બની ગયા છે. પ્રજાને જવાબ આપવો ભારી પડી ગયો છે.
ગુજરાત સરકારના માથે માછલા ધોવાતા એમના એક મંત્રી સરકારના બચાવમાં આવ્યા, કેબિનેટ કક્ષાના પ્રધાન ઋષીકેશ પટેલે સરકારનો રાજકિય બચાવ કરી ટેક્નિકલ 4-5 કારણો પ્રજા સમક્ષ બચાવનામાં સ્વરૂપે રજૂ કર્યા…ભરૂચ જિલ્લાના બે ત્રણ મુખ્ય પદાધિકારીઓએ સોશિયલ મીડિયામાં ફોરવર્ડ પણ કર્યા…પણ કોઇ માયનો લાલ PC કરવા મેદાને આવ્યો નથી, છાસવારે ભાજપની સિદ્ધિઓ વર્ણવવા PC બોલાવનારાઓની મીડિયાનાં મિત્રો રાહ જોઈ રહ્યા છે…
એક ખુબજ આનંદ સાથે એક સિનિયર જવાબદાર પત્રકાર તરીકે મારે નોંધ સાથે અતિ આનંદ વ્યક્ત કરતા પ્રોઉડ કરવું જોઈએ કે વિઝ્યુઅલ મીડિયા જેવી, જેટલી સુવિધાઓ ના હોવા છતાં, જુના પ્રતિષ્ઠિત અને પાયાના પ્રિન્ટમીડિયાના અખબારો, સંદેશ, ગુજરાત સમાચાર, દિવ્યભાસ્કર સહિત નાના અખબારો, પોતાની સોશિયલ મીડિયા પર ન્યૂઝ પોર્ટલ, ચેનલો ચલાવતા મહત્તમ મીડિયાએ જિલ્લાની અત્યંત દારુણ પરિસ્થિતિ, પ્રજાનું દર્દ, નુકસાની, આક્રોશ ભારે મહેનત સાથે, સહુ એક સાથે મળી, આંતરિક સ્પર્ધાઓ ભૂલી સામુહિક પ્રયાસો કરી જનતાનું દર્દ પથ્થર દિલો સુધી હૂબહૂ પહોચાડી એમનું કર્મ-ધર્મનો પાલન કર્યો છે…આ ગૌરવ ની ઘડીએ એમને પણ ધન્યવાદ આપીએ એટલા ઓછા…આ પથ પર ચાલીશું તો જ લોકશાહી જીવંત રહેશે…માનવ ધર્મ અને સેવા પણ પ્રજ્વલિત રહેશે…હા, કોઈ પોતાના સ્વાર્થ ખાતર, પ્રસિદ્ધિ ખાતર મીડિયાનો દુરઉપયોગ કરતું હોય તો એને પણ સબક શીખવાડવો પડે, આપણે આઈનો છીએ-દર્પણ છીએ જેમાં જે જેવો, જેટલો છે તેવો ને તેટલો જ પ્રજા સમક્ષ સાચો-ખોટો પ્રસ્તુત કરવાનો છે, હા, માણસ છીએ, સામાજિક પ્રાણી છીએ, સંબંધો છે, પણ એટલા અંધ ક્યારેય ન બનવું જોઈએ જેમાં સત્ય, ધર્મ અને કર્તવ્ય કદરૂપા બને…હવે મીડિયા એ નુકસાનીનો સાચો, સચોટ અને સંપૂર્ણ અંદાઝ મેળવવાનો છે, સત્ય ને ન્યાય સુધી પહોંચાડવાનું છે,ગરીબો,અસરગ્રસ્તો ની અમી દ્રષ્ટિ,આશીર્વાદ લેવાના છે અને સેવા ભાવિ વ્યક્તિઓ,સંસ્થાઓને પ્રેરણા આપી, બિરદાવી માનવ ધર્મ બજાવવાનો છે. પાશ્ચાત્ય અસરો લાંબા ગાળે સુધરશે, પણ ટાઇમબિંઇંગ દુઃખ-દર્દ વેપારીઓ, ખેડૂતોની પીઠે હાથ પ્રસરાવી એમને હૈયા ધારણ અને મદદ આપવાની છે…અંધ ભક્તોને જે બોલવું, કરવું હોય તે બોલે, કરે…આપણે આપણા કાંટાળા પથ પર આગે કૂચ કરવાની છે. હું મારી સાથે સંકળાયેલા મહત્તમ પરિચિત અને અપરિચિત પત્રકાર મિત્રો, સ્નેહીઓને સહ આનંદ અભિનંદન પાઠવી, બિરદાવું છું…આભાર વ્યક્ત કરું છું. એમનો કે આવા પ્રસંગે આંતરિક સ્પર્ધાઓ કે શત્રુતા ભૂલી એક બની પ્રજાની પડખે પહાડ બની ઉભા રહ્યા..નર્મદે હર…🙏🙏🙏