Published By : Parul Patel
- ✍️ ભરૂચ શહેર અને જિલ્લામાં ગણેશ ઉત્સવ સંપૂર્ણ શાંતિપૂર્ણ અને આનંદ મંગલ વચ્ચે પૂર્ણ થતાં પોલીસ અને પ્રજાએ હાશકારો અનુભવ્યો, હવે નવરાત્રી…
- ✍️ “હિન્દૂ ધર્મ” ઉત્સવપ્રિય ખરો, પણ ઉત્સવમાં ઘેલછા,અહંકાર કે શોબાજી કરતા શ્રદ્ધા,ભક્તિ અને ઉત્સવ-ઉમંગની ભાવના વિશેષ હોવી જોઈએ.
- ✍️ કોઈ કહે, કે ના કહે, રેવાની અણધારી રેલે પ્રજાના, આ પ્રિય ઉત્સવનો મૂડ, તો બગાડ્યો જ…ઉત્સવ થોડો ફિકો પડ્યો…
હિન્દૂ ધર્મ એટલે…ઉત્સવોનો પ્રિય ધર્મ…અને સંસ્કૃતિની સરવાણી…ભારતીય સંસ્કૃતિની વિવધતામાં એકતા, સાથે ધર્મ, સંસ્કૃતિ અને તહેવારો એ માત્ર કોઇ એક ધર્મ માત્ર નથી, ‘જીવન પ્રણાલી’ છે..’જીવન પદ્ધતિ છે’ અનેક જીવન કાર્યો, પરિશ્રમ અને વ્યવસાય વચ્ચે પણ જીવન રસ, ઉમંગ અને ઉત્સાહ ટકાવી રાખવા, તન-મન-અને ધનને સમૃદ્ધ, ચલિત અને પવિત્ર રાખવા હિંદુઓ વર્ષ દરિમયાન અસંખ્ય તહેવારોમાં વ્યસ્ત રહે છે, તહેવારો એ માત્ર ઉત્સવો નથી,જુદા જુદા સમાજને ટકાવી રાખતી વ્યવસાય, ધર્મ અને કર્મને સાંકળતી, સમૃદ્ધ કરતી એક કાર્ય પ્રણાલી પણ છે…જે સ્વાસ્થ્ય-તંદુરસ્તીને પણ સીધી સ્પર્શતી હોય છે…
યુવાનોનો અતિ પ્રિય ઉત્સવ એટલે ગણેશ ચતુર્થીના 9-10 દિવસો…મુળ મહારાષ્ટ્રના,મરાઠીઓના આરાધ્ય દેવ એવા ગણેશજી આમ તો સમગ્ર હિન્દુ ધર્મના સર્વસ્વીકૃત અને પ્રથમ પૂજનીય દેવતા તરીકે સ્થાપિત ભગવાન માન્ય છે, અરે, જૈન અને અન્ય ધર્મ, જાતિ-જ્ઞાતિમાં પણ આ દુંદાળા દેવ, પાર્વતી પુત્ર શ્રીજી વિના કોઈ પણ કર્મ- કાંડ,પ્રાર્થના, વિધી જ અપૂર્ણ ગણાય છે…અનેક સંપ્રદાયોમાં પણ શ્રીજી તો જોવા મળે જ. સામાજિક એકતાનું પ્રતીક અને આઝાદીની લડત માટે પ્રેરણા રૂપ બનેલ લોકમાન્ય તિલકના ગણેશ ઉત્સવ આઝાદી પછી આજે પણ ઘરે ઘરે,ગલીએ ગલીએ પ્રેમથી પ્રસ્તુત બની રહે છે. મુંબઇ-મહારાષ્ટ્ર-પુણે-નાગપુર તો પૂર્ણ ગણેશમય બની ઝૂમી ઉઠે છે, પણ ગુજરાત પણ પાછું પડતું નથી..પહેલા માત્ર ગાયકવાડી રાજ એવા વડોદરા, પછી અમદાવાદ, સૌરાષ્ટ્ર અને હવે તો સુરત સહિતનું આખું દક્ષિણ ગુજરાત પણ આ દશ દિવસ ભક્તિ રસથી ભરપૂર ગાજી ઉઠે છે. ગણેશ ઉત્સવ માત્ર ભક્તિ-શક્તિ કે નાચગાનનો ઉત્સવ નથી, કલા અને આર્કિટેક્ચરલ પોઇન્ટ ઓફ વ્યૂ, શણગાર, સૌંદર્ય અને સમર્પણ ના ગુણોને પણ ખૂબ અંદર સુધી વ્યક્તિમાં ઉતારે છે, વિકસાવે છે, સ્થાપિત કરે જ છે.અને એ પણ અબાલ વૃદ્ધ, મહિલા-યુવતીઓ સહિત સહુને એક બીજા સાથે સાંકળે છે. પ્રતિમાઓના સ્થાપનમાં યુવકોની વિચાર શક્તિ, સ્વપ્ન દ્રષ્ટિ, ઈચ્છાઓ આકાર પામતા રહે છે, વિશાળ પ્રતિમાઓ સાથે કલાત્મક કારીગરી, સજાવટ અસંખ્ય સ્થળે પૂર્ણ વૈવિધ્યથી ભરી જોવા મળે છે. દશ દિવસ ગલી કૂંચી, મોટા જાહેર માર્ગો, પંડાલો જનમેદની ભક્તોથી ઉભરતા રહે છે. આનંદ ઉત્સવમાં 10 દિવસ જોત જોતામાં ચાલ્યા જાય છે અને આવી જાય છે વિઘ્ન હર્તા શ્રીજીની વિદાય…
ભરૂચ પણ દાયકાઓથી આ ઉત્સવ મનાવતું જ રહ્યું છે…પહેલા જુના ભરૂચમાં આકર્ષણનું કેન્દ્ર એવા કોઠી, નવાડેરા, ખલાસવાડ, કાચલીપીઠ, જુનાબજાર, ઘીકુડિયા, બહુચરાજી, શ્રીજી પુરી, ચકલા, લાલબજાર, માછીવાડના લોકો જોવા ઊમટતા, ત્યાંથી પહેલા સિદ્ધનાથ સોસાયટીમાં શ્રીજી અયોધ્યાના રામના સ્વરૂપમાં સ્થાપન આવ્યું…લગભગ 2000 ની સાલથી જુના ભરૂચની ઓળખ અને જાહો-જલાલી, એવો આ ઉત્સવ સોસાયટીઓમાં આવ્યો…ચેનલ નર્મદાએ પણ 2005 થી આ ઉત્સવને પ્રાધાન્ય આપ્યું…અષ્ટવિનાયક, દ્વાદશ જ્યોતિર્લિંગ સાથે 12 વિવિધ સ્વરૂપના શ્રીજી સ્થાપન પછી ઐતિહાસિક 2012માં હોસ્ટેલ ગ્રાઉન્ડ પર “કૈલાશ માનસરોવર” નો હૂબહૂ સેટ સાથે ગણેશ ઉત્સવ ઉજવ્યો…અને સફળતાનાં નશા સાથેના ભૂતો, ના ભવિષ્યતિના ટાઇટલ સાથે જાયન્ટ ગણેશ ઉત્સવ “ચારધામ” ઉજવ્યો..ઘણા અનુભવો લીધા…લાખો ભક્તોએ લાભ લીધો, પણ ખૂબ મોટું બજેટ થતું હોય શાણપણ સાથે નિર્ણય કર્યો કે એક સ્થળે મોટા ઉત્સવના ખર્ચમાં અસંખ્ય સ્થળે બીજા ઉત્સવો અટકી જતા હતા, એમને પૂરતું ફંડ મળતું ન હતું. એના કરતાં બધે જ સારા નાના-મોટા ઉત્સવો થવા જોઈએ, વારંવાર ફંડ માંગવું એ પણ અનુચિત હોય છે…એટલે માત્ર ચેનલમાં અને ઘરે જ નાનકડા પાયે ટોકન ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું…
શહેરમાં નાના મોટા 60 થી 80 સ્થળે નાના-મોટા ગણપતિ ઉત્સવ મનાવાય છે…દુઃખ ત્યારે થાય છે એક જ ગલીમાં આજુબાજુમાં જ ફળિયાના યુવકો પોતાના વ્યક્તિગત અહંકાર કે નામ માટે ગણેશ સ્થાપન કરતાં હોય છે. ગણેશજી જ્ઞાનના દાતા છે, એકતાનું પ્રતીક છે. દંભ અને શૉ બાજી છોડીને આ ઉત્સવ ઉજવવો જોઈએ…એકતાનું, ભક્તિનું કે ધર્મનું વિભાજન-ટુકડા શા માટે?? જોઈએ તો મંડળોના નેતાઓ બદલો, હેલ્ધી કોમ્પિટિશન કરો, શ્રેષ્ઠતા સાબિત કરો, ઘેલછા, શૉબાજી, ઈગો કરતા શ્રદ્ધા, ભક્તિ અને ઐક્ય સાથે ઉત્સવ ઉજવવો જોઈએ…વર્ષોથી આરતીમાં જવાનો મોકો મને મળે છે, આ વખતે ઘણાને બે હાથજોડી ના પાડવી પડી, બધે જ સમય એક સરખો, તો ક્યારેક ઇનવાયટીઝ નો ઢગલો ખડકવાની રામાયણમાં આરતીનું ઔચિત્ય, ગૌરવ પણ જળવાતું નથી…એક સ્થળે તો એક મહિલાની પીઠની આરતી ઉતારવાની આવી ત્યારે બહુ અજુગતું લાગ્યું…ઘણી જગ્યાએ ટકોર કરવી પડી…સરખી આરતી પણ ના ઉતારી શકાય એટલી મોટી લાંબી લાઈનો…આવનારા વર્ષોમાં જો ગણેશ મંડળો શિસ્ત નહીં જાળવે તો આરતી ઉપર-નીચે કરીને ઉતારવાનો વારો,સ્ટાઇલ આવી જશે…આરતી નાની, સેફ અને પૂરતી કાળજી વાળી હોવી જોઈએ, જેમાં ઘી, કપૂર,બે ત્રણ દિવાસળી હોય…પણ સલાહ કોને ગમે ?? હા, ઉમંગ ઉત્સાહ ઘણીવાર અવ્યવસ્થા સર્જે છે, પણ જ્યાં જઈએ છીએ ત્યાં આદર, સત્કાર અને પ્રેમ પૂરતો હોય જ છે…
અંતમાં બે વાત કરી લઉં…આ વખતના ગણેશ ઉત્સવને એક અપશુકન અચૂક નડી ગયું…કથિત માનવસર્જિત રેવાની રેલ ના વિનાશ ના 4 જ દિવસ પછી 19 થી 28 નો ગણેશ મહોત્સવ ફિકો પડ્યો. આ કમનસીબ દુર્ઘટનાના પરિણામે…એક તરફ વિનાશ, હાહાકાર..બરબાદી અને અસહ્ય પરિસ્થિતિમાં અસંખ્ય જીવો, અને આંગણે ગણેશ ઉત્સવની ઉજવણી…પહેલા બે ત્રણ દિવસ તો જાણે શોક્ગ્રસ્ત જ રહ્યા…મૂડ જ ના જામ્યો…પણ પછી બધાએ ઉત્સવમાં ધ્યાન પરોવ્યું…
ભરૂચ એકંદરે સંવેદનશીલ મથક ગણાય, ગણેશ ઉત્સવના મુદ્દે…ભૂતકાળમાં તોફાનો જોયા છે. ભરુચે.પણ આ વખતે ગણેશ ઉત્સવ એકદમ શિસ્ત, સંયમ અને મર્યાદામાં ઉજવાયો, મુસ્લિમોએ પણ પોતાના ઉત્સવને એક દિવસ પાછળ ઉજવવા ઠેરવ્યુ…આવી જ રીતે બધા ઉત્સવો ઉજવાય તો રાષ્ટ્ર ધર્મ,લોકશાહી અને રાજસત્તા વધુ મજબૂત બને, ખોટા સિક્કાઓ નિષ્ફળ જાયને જનતા જનાર્દન બની રામ રાજ્ય ભોગવી શકે. હવે નવરાત્રીની પ્રતીક્ષા…પછી દિવાળી..જોકે લોકસભા સુધી રાજકિય હોળી તો ચાલુ જ રહેશે…✍️