Published by : Rana Kajal
- સોમવારે નર્મદા જિલ્લાના આદિવાસીઓએ વિશાલ રેલી કાઢી કલેકટરને રજુઆત કરી હતી
- વન અધિકાર કાયદા હેઠળ ઝઘડિયા પ્રાંતને કલેકટરને ઉદેશી આવેદન અપાયું
નર્મદા જિલ્લાના આદિવાસીઓ બાદ મંગળવારે ભરૂચ જિલ્લાના આદિવાસીઓએ જંગલ જમીન અધિકાર મુદ્દે ઝઘડિયામાં વિશાળ રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતુ.
જય આદિવાસી મહાસંઘ ઝઘડિયા તથા નેત્રંગ અને આદિવાસી મહાસભા ગુજરાત દ્વારા આજરોજ ઝઘડિયા એપીએમસી ખાતેથી પ્રાંત અધિકારી કચેરી સુધી એક જાહેર રેલી યોજના વન અધિકાર કાયદો ૨૦૦૬ ના અમલીકરણ માટે તેમની પાંચ જેટલી માંગણીઓ સાથે એક આવેદનપત્ર પ્રાંત અધિકારી મારફતે જિલ્લા કલેકટરને પાઠવવામાં આવ્યું છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/06/270e2edf-6c5f-48dd-9383-e1a668ebcf43-1024x461.jpg)
સંઘ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં તેમણે જણાવ્યું છે કે આજરોજ જાહેર રેલીમાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા નેત્રંગ અને વાલિયા તાલુકાના ગામોના ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે અને આપણા જિલ્લામાં વન વિભાગ કાયદાના અમલને લગતા જે સવાલો હજી પડતર છે.
તેના ઝડપથી ઉકેલ માટે આવેદનપત્ર આપીએ છીએ. વન અધિકાર કાયદો ૨૦૦૬ ના અમલને લગતા પાંચ પ્રશ્નો ઘણા વખતથી હજી પેન્ડિંગ છે અને વારંવાર રજૂઆત કરવા છતાં તેનો હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી, મોટાભાગના પ્રશ્નોનો ઉકેલ જિલ્લા કક્ષાએ આવે એમ છે, આ માટે જણાવીએ છીએ કે આ પ્રશ્નોનો ઉકેલ માટે જરૂરી પગલાં ભરશો.
જય આદિવાસી મહાસંઘ અને આદિવાસી મહાસભા દ્વારા તેમના પાંચ જેટલા માંગણીમાં તેમણે જણાવ્યું કે ભરૂચ જિલ્લાના પણ દાવેદારોને આદેશપત્ર આપવામાં આવેલ છે. જેમાં ગ્રામસભાએ મંજૂર કરેલ ક્ષેત્રફળ અને દાવેદારે માંગણી કરેલ ક્ષેત્રફળ કરતા ખૂબ ઓછું ક્ષેત્રફળ મંજુર કરેલ છે જેથી નર્મદા જિલ્લાની જેમ ગીર ફાઉન્ડેશન ના દવાઓ જીપીએસ તપાસ માટે મોકલી આપવા.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2023/06/cc54027d-f82d-4211-b13a-6402a852963f-1024x462.jpg)
ભરૂચ જિલ્લામાં પેન્ડિંગ દાવાઓ છે તેમનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. સામૂહિક અધિકારોમાં નર્મદા જિલ્લામાં છ અધિકારો મળ્યા છે. જ્યારે ભરૂચ જિલ્લામાં ત્રણ અધિકારો મળ્યા છે જેથી બાકી અધિકારો પણ મંજૂર કરવામાં આવે તેવી તેમણે માંગણી કરી છે. ફોરેસ્ટ વિલેજના ગામોને રેવન્યુ માં ફેરવવા માટે ૨૦૧૫ માં રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કર્યો હતો તેમ છતાં આજદિન સુધી વન ગામોને રેવન્યુમાં ફેરવવામાં આવ્યા નથી.
જેથી આ ગામોને રેવન્યુમાં ફેરવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. વન અધિકાર કાયદો ૨૦૦૬ મુજબ આદેશપત્ર મળ્યા છે તેમાં શરત નંબર એક માં જણાવ્યું છે કે, તંત્ર ની માપણી પછી આખરી ક્ષેત્રફળ મંજૂર કરી આપવામાં આવશે તેવો ઉલ્લેખ છે, તેમ છતાં તે મુજબ કાર્યવાહી કરી નથી જેથી શરતોનું પાલન થાય તેવી તેમની માંગણી છે. આ મુજબની તેમની માંગણીઓ છે જે જરૂરી કાર્યવાહી થાય તે જાણ કરતો પત્ર તેમને મોકલવા રજૂઆત કરી છે.