- દાદા અને માતાને ઇજાઓ, અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ રસ્તા ઉપર બેસી સર્જ્યો ચક્કાજામ
- ભોલાવની સોસાયટીમાં રહેતું પટેલ પરિવારના મોભી દાદા તેમની પુત્ર વધુ સાથે વ્હાલસોયી પૌત્રીને સ્કુલે મુકવા જતા હતા
- બન્ને તરફનો વાહન વ્યવહાર અટકી જતા પોલીસ કાફલો દોડી આવ્યો, લકઝરી બસનો ડ્રાઈવર ફરાર
- અડધો કલાક બાદ રસ્તા ઉપર બમ્પર અને પોલીસ પોઇન્ટની માંગણી સ્વીકારતા વાહન વ્યવહાર શરૂ કરાયો
- ભરૂચ-,દહેજ રોડ ઉપર ક્યારે અટકશે માસુમોના મૃત્યુની ઘટનાઓ
ભરૂચ-દહેજ રોડ ઉપર નંદેલાવ બ્રિજ નજીક મઢુલી સર્કલ પાસે શુક્રવારે સવારે લકઝરી બસના ચાલકે બાઇક સાથે અકસ્માત સર્જતાં સ્કૂલે જતી 5 વર્ષની ધ્યાનીનું રસ્તા ઉપર પટકાતા મૃત્યુ થયું હતું. જયારે દાદા અને માતાને ઇજા પોહચી હતી.

ભરૂચ-દહેજ માર્ગ ઉપર અવાર નવાર રસ્તો ઓળંગતા કે મોપેડ, બાઇક લઈ જતા માસુમો લકઝરી બસે અડફેટે લેતા મોતને ભેટ્યા છે. સ્થાનિકોએ અગાઉના થયેલા આવા અકસ્માતોમાં ચક્કાજામ સર્જવા સાથે લકઝરી બસો પણ સળગાવી છે.તેમ છતાં આ માર્ગ ઉપર માસુમોના અકસ્માતે મોતનો સિલસિલો રોકાઈ રહ્યો નથી. આજે શુક્રવારે સવારે ભોલાવની સોસાયટીમાં રહેતું પટેલ પરિવાર પોતાની વ્હાલસોયી 5 વર્ષની ધ્યાનીને સ્કૂલે મુકવા જતું હતું.

દાદા મહેશ હરિભાઈ પટેલ અને માતા ડિમ્પુબેન ધર્મેશભાઈ પટેલની વચ્ચે બાઇક ઉપર ધ્યાની બેસી હતી. નંદેલાવ બ્રિજ ઉતરતા જ મઢુલી સર્કલ નજીક એક લકઝરી બસના ચાલકે બાઇકને અડફેટે લીધી હતી.વચ્ચે બેસેલી ધ્યાની અકસ્માતમાં ફંગોળાઈ રસ્તા ઉપર પટકાઈ હતી. જ્યાં સ્થળ પર જ માસુમનો જીવ જતો રહ્યો હતો. બાઇક ચલાવતા દાદા અને માતા પણ પટકાઈ રસ્તા ઉપર પડતા ઇજાગ્રસ્ત થયા હતા.આસપાસ રહેલા વાહનચાલકો અને સ્થાનિક સોસાયટીના રહીશો પાંચ વર્ષીય ફૂલ જેવી બાળકીના મૃત્યુથી આગ બબુલા થઇ ગયા હતા. રસ્તા ઉપર બેસી લોકોએ ચક્કાજામ સર્જી દીધો હતો.

બીજી તરફ અકસ્માત સર્જક લકઝરી બસનો ડ્રાઈવર લોક રોષ જઈ ભાગી છૂટ્યો હતો. લોકોએ વાહન વ્યવહાર અટકાવી દેતા જોત જોતામાં વાહનોની કતારો જામી જતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.લોકોને પોલીસે ઘણા સમજાવ્યા બાદ રસ્તા ઉપર સ્પીડ બ્રેકર અને પોલીસ પોઇન્ટની સ્થાનિકોની માંગણી સ્વીકારતા તેઓ રસ્તા પરથી ઉભા થયા હતા અને અટકાવી દીધેલા વાહન વ્યવહારને ફરી શરૂ કરાવ્યો હતો.અકસ્માતમાં પાંચ વર્ષની બાળકીના મૃત્યુને લઈ પિતા અને પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલમાં લઈ જઈ ઇજાગ્રસ્ત દાદા અને માતાને સારવાર અર્થે લઈ જવાયા હતા.




