આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર આજે ગુજરાતની મુલાકાતે છે. તેમણે વૈષ્ણોદેવી સર્કલ પાસે ટાઉનહોલના કાર્યક્રમમાં પોતાનું સંબોધન કર્યું હતું. કેજરીવાલે કહ્યું હતું, આજે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી છે, તેમને પ્રણામ કરું છું. પહેલાં લોકો કહેતા હતા કે ગુજરાત ભાજપનો ગઢ છે, અહીં કશું થાય એમ નથી, પરંતુ અમે લોકોને મળ્યા તો ખબર પડી કે લોકો કેટલા ડરેલા છે અને કેટલા દુઃખી છે. અમે આજે પાંચમી ગેરંટી મહિલાઓ માટે આપી રહ્યા છીએ. ગુજરાતની 18 વર્ષની ઉપરની મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા બેંક એકાઉન્ટમાં આપીશું.
અમે પંજાબ અને દિલ્હીમાં કર્યું એમ ગુજરાતમાં કરીશું
હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં 27 વર્ષના શાસન બાદ ભાજપને ઉખાડી ફેંકીને લોકો નવી જ રાજનીતિ ઈચ્છે છે. અમે પંજાબ અને દિલ્હીમાં કર્યું એમ ગુજરાતમાં કરવા માગીએ છીએ. અમે ભાજપ અને કોંગ્રેસની જેમ કરવા નથી માગતા. તેઓ એકબીજાને ગંદું બોલી બોલીને જતા રહે છે. એમાં જનતાને કંઈ મળતું નથી. ભાજપ અને કોંગ્રેસનું સેટિંગ છે, પરંતું પહેલીવાર જનતાને એવું લાગી રહ્યું છે કે અમારી સમસ્યાનું સમાધાન થશે.
લોકોના હાથમાં પૈસા જશે તો અર્થ વ્યવસ્થા આગળ વધશે
આનાથી મોટા પાયે અર્થવ્યવસ્થામાં ફરક પડશે. લોકોના હાથમાં પૈસા જશે તો અર્થ વ્યવસ્થા આગળ વધશે અને અમીરોના હાથમાં પૈસા જશે તો અર્થવ્યવસ્થા કમજોર પડશે. અમારી આ ગેરંટીથી કરોડો મહિલાઓને ફાયદો થશે. કરોડો ઘરમાં એનો ફાયદો થશે. લોકો કહે છે કે પૈસૌ ક્યાંથી આવશે. હું તમને એક ઉદાહરણથી જણાવું કે પૈસો ક્યાંથી આવશે. અમે પંજાબમાં કહ્યું હતું કે વીજળી મફત આપીશું, ત્યારે પણ લોકોએ કહ્યું હતું કે પૈસો ક્યાંથી આવશે. માર્ચમાં પંજાબમાં અમારી સરકાર બની. સરકાર બન્યા બાદ રાજ્ય સરકાર પાસે 6 હજાર કરોડ વધુ ટેક્સ આવ્યો.