Published by : Vanshika Gor
મોરબી ઝુલતા પુલની ઘટનાને લઈને તપાસ કાર્યવાહી દરમિયાન જયસુખ પટેલ સહિતના આરોપીઓ કાયદાની સકંજામાં આવી રહ્યા છે. આ કેસની ચાર્જશીટમાં મોટો ખુલાસો થયો છે કે સસ્પેન્શન બ્રિજના સમારકામના નિયમોનો ભંગ કરીને આઠથી 12 મહિનાના બદલે 6 માસમાં પુલ પુનઃ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જયસુખ પટેલે ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી બ્રિજની મજબૂતાઈનું સ્ટેબિલિટી સર્ટિફિકેટ ન લીધું હોવાનો પણ આરોપ છે. તેમજ પુલના 49માંથી 22 કેબલ પર કાટ લાગી ગયો હતો. ચાર્જશીટમાં એવો પણ ઉલ્લેખ છે કે જયસુખ પટેલ ભાગેડુ છે. 2008માં નવ વર્ષ માટે 300 રૂપિયાના કાનૂની દસ્તાવેજ પર કરાર થયો હતો.
સમારકામ ટેકનિકલ માણસોને બદલે સ્થાનિક ફેબ્રિકેટરને અપાયું
ચાર્જશીટ મુજબ અકસ્માત સમયે 400થી વધુ લોકોને પુલ પાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ બ્રિજનું સમારકામ ટેકનિકલ માણસોને બદલે સ્થાનિક ફેબ્રિકેટરને સોંપવામાં આવ્યું હતું. પોતાના અંગત લાભ માટે ઓરેવા કંપનીએ સમય પહેલા લોકો માટે બ્રિજ શરૂ કરી દીધો હતો. દુર્ઘટના બાદ ઓરેવા ગ્રૂપે બચાવ કાર્યમાં સહકાર આપ્યો ન હતો, તે પણ ચાર્જશીટમાં નોંધવામાં આવ્યું છે.