મોરબી ઝુલતો પુલ તુટવાની તપાસ મામલે CBI દ્વારા નિષ્પક્ષ તપાસ કરાવવા અને મૃતકોના પરિજનોને વધારે વળતર ચૂકવવા માટે કરાયેલી અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે હાલમાં ઈનકાર કર્યો છે. CJIએ કહ્યું કે, આ ઘટનાની સ્વતંત્ર તપાસ પર ગુજરાત હાઈકોર્ટ પહેલાથી સુનાવણી કરી રહ્યું છે. આ મામલા સાથે જોડાયેલી માંગ પર પહેલા ગુજરાત હાઈકોર્ટ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાઓને કહ્યું કે, જો તેમને ફરીથી આગળ જતાં સુપ્રીમ કોર્ટને દખલગીરી કરવી જોઈએ તેવું લાગે તો, તેઓ ફરી સુપ્રીમ કોર્ટ આવી શકે છે.
અરજકર્તાઓને સુપ્રીમ કોર્ટે શું નિર્દેશ આપ્યો?
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 2 લોકોના સંબંધી દિલીપ ચાવડાના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ અરજી પર સુનાવણી માટે અપીલ કરી હતી. જોકે કોર્ટે તેમને હાલમાં કહ્યું છે કે, ગુજરાત હાઈકોર્ટ પહેલાથી આ મુદ્દે સુનાવણી કરી રહી છે, તેઓ ત્યાં પોતાની માગણી રજૂ કરે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને પણ અનુરોધ કર્યો છે કે, તે અરજીકર્તા દ્વારા ઉઠાવવામાં આવેલા આ મુદ્દાઓ પર પણ વિચાર કરે, જેમાં મામલાની સ્વતંત્ર તપાસ, નગરપાલિકાના અધિકારીઓની જવાબદારી કાર્યવાહી, અજંતા મેન્યુફેક્ચરિંગના મોટા લોકો પર કાર્યવાહી, વળતર વધારવું સામેલ છે.
ગુજરાત હાઈકોર્ટે આ મામલે સ્વત: સંજ્ઞાન લીધું છે અને સુનાવણી કરી રહી છે. હાઈકોર્ટે આદેશ પણ આપ્યા છે અને 24 નવેમ્બરે આગામી સુનાવણી છે. હાઈકોર્ટ આ મામલે અલગ અલગ પાસા પર દેખરેખ રાખી રહી છે. અરજીકર્તાના વકીલ તરફથી એક નિર્ધારિત રકમ વળતર તરીકે પીડિત પક્ષને આપવામાં આવે તેવી માંગ કરી છે. બાકીના મુદ્દા પણ રાખ્યા છે. જેમ તે સ્વતંત્ર તપાસ થવી જોઈએ.