Published by : Anu Shukla
- ગુણોત્સવમાં રાજ્યની 12184 શાળામાંથી સુરત પાલિકાની વરાછાની શાળા બીજા ક્રમે આવી
- શાળાના ગુણોત્સવમાં ભારે સ્પર્ધાનો માહોલ સુરતમાં પહેલા નંબરની સ્કૂલ રાજ્યમાં બીજા ક્રમે
ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળાની ગુણવત્તા સુધરે તે માટે દર વર્ષે ગુણોત્સવનું આયોજન કરવામા આવે છે. ગુણોત્સવ 2022-23 ના પ્રથમ તબક્કામાં 12184 શાળાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એક કન્યાશાળા રાજ્યમાં બીજા ક્રમે આવી છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વરાછાની શાળા ક્રમાંક 16 ઈશ્વર પેટલીકર કન્યા શાળામાં અભ્યાસ તથા ઈતર પ્રવૃત્તિ સહિત અન્ય પ્રવૃત્તિનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા એકમ કસોટી, મધ્યાહન ભોજન, સત્રાંત પરીક્ષા, શાળામાં બાળકોની હાજરી, શિક્ષકો દ્વારા બાળકોને કરાવવામાં આવતા અભ્યાસ તથા ક્લાસ રૂમ પ્રવૃત્તિનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું.

આ ગુણોત્સવમાં 12184 શાળામાંથી બીજો ક્રમ મેળવનાર ઈશ્વર પેટલીકર શાળાના આચાર્ય કહે છે, જુલાઈ માસમાં મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું આ મૂલ્યાંકનનું પરિણામ જાહેર થયું તેમાં સુરત પાલિકા વિસ્તારમાં અમારી શાળાના પ્રથમ ક્રમ જ્યારે રાજ્યમાં બીજો ક્રમ મળ્યો છે તે અમારા માટે ગૌરવની વાત છે. શાળાકીય પ્રવૃત્તિ અને અભ્યાસ સાથે વાલીઓનો શાળા સાથેના વ્યવહારનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. અમારી શાળાનો અગ્રક્રમ આવા પાછળ અમારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાલીઓની મહેનત રંગ લાવી છે. જે રીતે અમારી શાળામાં વિદ્યાર્થી-વાલીઓ અને શિક્ષકોનો સમન્વય થાય છે તેવી જ રીતે અન્ય શાળામાં પણ થાય તો ઘણું સારુ પરિણામ મળી શકે તેમ છે.
સુરતના વરાછા વિસ્તારની ઈશ્વર પટેલીકર કન્યા શાળા 94 ટકા ગુણ સાથે સુરતમાં પહેલા અને રાજ્યમાં બીજા ક્રમે આવી છે તો સુરતમાં 84 ટકા ગુણ સાથે પાલનપોર વિસ્તારની 314 નંબર ની સ્કુલ રાજ્યમાં 142માં ક્રમે આવી છે. પાલનપોરની આ શાળામાં પણ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની કામગીરી ઘણી જ સારી છે તેથી આવી સ્કુલોમાં એડમીશન માટે પણ લોકો પડાપડી કરે છે.