Published By : Parul Patel
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરેલ આક્ષેપોના પગલે હાલમાં ચાલતા કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને અદાલતમાં હાજર રહેવુ પડે તેવી સંભાવના જણાઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના વિવાદમાં ગુજરાત યુનિવર્સિટી વિશે બદનક્ષીભર્યા નિવેદનો મામલે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. આ પ્રકરણમાં આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ દ્વારા સેશન્સ કોર્ટ સમક્ષ મેટ્રો કોર્ટના સમન્સના હુકમને પડકારતી કરાયેલી રિવિઝન અરજીમાં આજે અરજન્ટ હીયરિંગની માગણી કરતી અરજી સેશન્સ કોર્ટના ઇન્ચાર્જ જજ એ.વી. હીરપરાએ ફગાવી દીધી હતી. આમ, આપના નેતાઓને સેશન્સ કોર્ટમાંથી ફરી ઝટકો મળ્યો છે. હવે સુનાવણી દરમિયાન બન્નેને હાજર રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. નોંધનીય છે કે, આ કેસમાં કોર્ટે સમન્સ ઇશ્યૂ કર્યા છતા એકપણ વાર કેજરીવાલ કે સંજયસિંહ હાજર રહ્યાં નથી.
ગુજરાત યુનિ.ના કુલસચિવ ડો. પીયૂષ પટેલે આપના નેતાઓ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ વિરુદ્ધ અત્રેની મેટ્રોપોલિટન કોર્ટમાં કરેલી બદનક્ષીની ફરિયાદના કેસમાં કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ વિરુદ્ધ સમન્સ જારી કર્યા હતા. છેલ્લા ત્રણેક મહિનાથી આ બને નેતાઓ કોર્ટ સમન્સ અને નિર્દેશ છતાં અદાલત સમક્ષ હાજર થયા ન હતા. આખરે મામલો સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટ સુધી ગયો છે. મેટ્રો કોર્ટના સમન્સના હુકમ સામે રિવિઝન અરજીની તાત્કાલિક સુનાવણી કરવા અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ તરફથી કરાયેલી અરજીનો સખત વિરોધ કરતાં ફરિયાદ પક્ષે એવી રજૂઆત કરી હતી કે, નીચલી કોર્ટના પડતર ક્રિમિનલ કેસનું પ્રોસિડિંગ્સ સ્ટે કરવા માટે આરોપીઓની વચગાળાની અરજી અગાઉ સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. તેની સામે આપના નેતાઓ હાઇકોર્ટમાં રિટ દાખલ કરી છે, તેમાં પણ હાઇકોર્ટે કોઇ વચગાળાની રાહત આપી નથી અને સામાવાળાને નોટિસ કાઢી સાંભળવા પર મેટર રાખી છે…