અમદાવાદ
કોંગ્રેસમાંથી નેતાઓની આયાત બંધ છે, એ પછી તરત કોંગ્રેસમાંથી કોઈ ને કોઈ ભાજપમાં જોડાય છે. પક્ષપલટો કરતા કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપે ટિકિટની ના પાડી હતી, માટે વચ્ચે પક્ષાંતરણ અટકી ગયું હતું.પરંતુ હમણાં જ દિલ્હીથી એક મોટા નેતા આવી ગયા અને પછી જ રીબડિયાનું ગોઠવાયું હોવાનું કહેવાય છે. કોંગ્રેસ તો ઠીક, પણ હવે તો ભાજપ સંગઠનમાં પણ ચર્ચા ચાલી રહી છે કે અલ્યા… કોંગ્રેસમાંથી આયાત બંધ હતી ને, તો રીબડિયા ક્યાંથી આવ્યા?
સૌરાષ્ટ્ર ભાજપના સિનિયર નેતા જેઓ ભૂતકાળમાં સંગઠનનો મહત્ત્વનો હોદ્દો સંભાળી ચૂક્યા છે તેમને ‘પાડી દેવા’ હવે ભાજપના જ નેતાઓ સક્રિય થઈ ગયા છે. સૌરાષ્ટ્ર ભાજપના જ સક્રિય થયેલા નેતાઓની ટોળકીએ નવી મોડસ ઓપરેન્ડી અજમાવી છે.આ સિનિયર નેતા અત્યંત તોછડા હોવા સહિત તેમની સામે ફરિયાદો આ ટોળકી કરી રહી હોવાની વ્યાપક ચર્ચા છે. આ વાત સાચી હોય તો આગામી ચૂંટણીમાં જોખમ ઊભું થઈ શકે તેમ છે.
અમદાવાદમાં રખડતાં ઢોર મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગની ટીમની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા હતા. રખડતાં ઢોરના કારણે અકસ્માતો વધતા જાય છે.. આના પગલે CNCDના HOD નરેશ રાજપૂત અને સહ ઇન્ચાર્જ ડો. પ્રતાપસિંહ રાઠોડને ભાજપના કહેવાથી તાત્કાલિક મ્યુનિ. કમિશનરે સસ્પેન્ડ કરી દીધા હતા. 10 દિવસમાં જ આ બંને અધિકારીને કમિશનરે જ ફરજ પર પાછા લીધા છે. મ્યુનિસિપલ કમિશનરે ભાજપની જ સુચનાથી બંનેને સસ્પેન્ડ કર્યા હતા અને ભાજપના હોદ્દેદારોની સૂચનાથી તેમને ફરજ પર પાછા લેવાયા. મ્યુનિસિપલ કમિશનર ગમે તેવો મજબૂત હોય પણ રાજ તો ભાજપનું જ ચાલે…
સુરત શહેરની કતારગામ વિધાનસભા બેઠકના દબંગ ટાઈપના નેતાઓ ઘણા સમયથી ખૂબ ચર્ચામાં છે.આ દબંગ નેતાએ તેમના એરિયામાં એક બિલ્ડરને મોટા પાયે ગેરકાયદે બાંધકામ કરવા દીધું. સાહેબનો રુઆબ એટલો જબરજસ્ત છે કે તેમની સામે કોઈ બોલવા પણ તૈયાર થતું નથી. નજીકના એક કોર્પોરેટર અને એક કોન્ટ્રાક્ટરની તો પાંચે આંગળીઓ ઘીમાં છે. પરંતુ નેતા મજબૂત સ્થિતિમાં હોવાને કારણે અત્યારે ઈલેક્શન ટાઈમે સંગઠન પણ મૂંગા મોઢે ખેલ જોઈ રહ્યું છે.
દોઢ મહિનામાં ગુજરાતમાં અનેક આંદોલનો થયાનું ગાંધીનગર સાક્ષી બની ગયું છે. જો કે મહત્વની વાત તો એ છે કે મુળ માંગ કરતાં વિપરીત માંગો સંતોષીને પણ સરકારે આંદોલનકારીઓને મનાવી લીધા છે અને જે મુદ્દામાં આંદોલનકારીઓને મનાવી લેવામાં સફળ નથી થયા તેવા કિસ્સામાં સરકારે કમિટીની રચના કરીને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યા છે. ભૂતકાળના અનેક ઉદાહરણોમાં જોઈએ તો સરકાર રચિત કમિટી કયારે પોતાનો રીપોર્ટ આપશે તે વાત નિશ્નિત નથી.તો તાજેતરમાં થયેલા વિવિધ આંદોલનની માંગ માટે રચવામાં આવેલી કમિટી પણ ક્યારે રીપોર્ટ આપશે તે સવાલ છે. આમ, આંદોલનકારીઓ કમિટીની રચનાને સરકારની લોલીપોપ ગણાવી રહ્યાં છે.




