ભારતની પ્રથમ સૌથી ઊંચી ઓફિસ બિલ્ડીંગનું ખાત મુહૂર્ત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. 105.3 મીટર ઊંચી 27 માળની બે અદ્યતન આઈકોનિક ઈમારતો દેશની સૌથી ઊંચી સરકારી ઇમારત બની જશે. આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે કુલ ૨,૪૧૬ કરોડના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે.
સુરતના રીંગરોડ પર આવેલી જૂની સબ જેલની જગ્યાએ સુરત મહાનગરપાલિકાના નવા વહીવટી ભવનનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ બિલ્ડીંગ 106 મીટર ઊંચાઈ ધરાવતું બિલ્ડીંગ બનશે જેમાં સુરત પાલિકાની કચેરી ઉપરાંત સુરતના અન્ય ગુજરાત અને કેન્દ્ર સરકારની કચેરીઓ ખસેડવામાં આવશે.

હાલમાં ચોકબજાર પાસે આવેલ ઈ.સ.1644માં નિર્મિત હેરિટેજ બિલ્ડીંગ ‘મુગલસરાઈ’માં હાલ પાલિકાનું મુખ્યાલય કાર્યરત છે. સુરતની વસ્તીમાં વધારો થવા સાથે લોકસુવિધા, સુગમતામાં વધારો કરવાના આશયથી પાલિકાને નવા ભવનની જરૂરિયાત જણાઈ હતી. જેથી રાજ્ય સરકાર પાસે જમીનની માંગણી કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ દરખાસ્તનો સકારાત્મક પ્રત્યુત્તર આપતા સુરત શહેરના રિંગ રોડ સ્થિત જૂની સબ જેલની 22,563 ચો.મી. જગ્યા ફાળવી હતી.
આ જગ્યાએ હવે 27 – 27 માળના બે ટાવર બનાવવામાં આવશે. બિલ્ડિંગના ભોંયતળિયે ચાર માળનું પાર્કિંગ બનાવશે. આ ટ્વિન ટાવર ભૂકંપપ્રૂફ અને સાયક્લોન પ્રૂફ હશે. સમગ્ર બિલ્ડીંગના બાંધકામ ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ આધારિત રહેશે. ત્રણ થી સવા ત્રણ મીટર માળ પ્રમાણે ઉંચાઈ રહેશે. 2.20 લાખ ચો.મી.નો બિલ્ટઅપ એરિયા, દેશના સૌપ્રથમ 105.3 મીટર ઊંચા 27 માળના અદ્યતન બે આઈકોનિક ઓફિસ બિલ્ડીંગ બનતા લોક સુવિધા વધશે. આ બિલ્ડીંગ શહેરની મધ્યમાં અને નિર્માણાધિન મેટ્રો રેલ્વે જંકશનની બાજુમાં જ બનશે. કામ અર્થે આવતા નાગરિકો, કર્મચારીઓને મેટ્રોની ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો લાભ પણ મળશે.