Published By : Disha PJB
સુરત સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમ વખત બની ઘટના ! હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં જ ત્રણ વ્યક્તિઓએ અંગદાન કરી નવો ઇતિહાસ રચ્યો છે. ત્રણ વ્યક્તિઓના અંગદાનથી 10 લોકોને નવું જીવન મળ્યું છે.
સુરત જે રીતે આખા વિશ્વમાં ટેક્સટાઇલ અને ડાયમંડ માટે પ્રખ્યાત છે. તે રીતે હવે સુરત ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ મેળવી રહ્યું છે.bશહેરની યશકલગીમાં એક સાથે ત્રણ બ્રેઈનડેડ વ્યકિતઓના અંગદાન થકી વધુ એક છોગુ ઉમેરાયું છે. સુરત સિવિલ હોસ્પિટલની સોટો ટીમના સભ્યોના અવિરત પ્રયાસોથી છેલ્લા 24 કલાકમાં ત્રણ જેટલા બ્રેઈનડેડ વ્યકિતઓના 10 અંગોનું દાન સ્વીકારવાની વિરલ ઘટના બની છે.
પેહલા અંગદાનમાં 35 વર્ષીય અવિનાશ લક્ષ્મણ ધોડાડે જેઓ ગત 30મી એપ્રિલના રોજ ટુ વ્હીલર લઈને જતા હતા ત્યારે અકસ્માત થતા તાત્કાલિક વલસાડ જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓને વધુ સારવાર માટે સુરત સિવિલમાં રીફર કરાયા હતા. અહીં તેમને સારવાર દરમિયાન બ્રેઈનડેડ થતા હોસ્પિટલના ડોક્ટરો દ્વારા પરિવારને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું જેથી પરિવારે સંમતિ આપતા જ સ્વ. અવિનાશનું લિવર તથા બે કિડનીનું દાન સ્વીકારાયું હતું. કિડનીને રાજકોટ તથા લિવરને અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
બીજા અંગદાનમાં શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા 45 વર્ષીય દિપક સંતોષ ચૌધરીને ગત 1 એપ્રિલના રોજ ચક્કર આવતા બેભાન અવસ્થામાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને ડૉક્ટરો દ્વારા બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. તેમના પરિવાર જનોને પણ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું જેથી પરિવારે સંમતિ આપતા જ સ્વ.દિપકના બે કિડની તથા હદયનું દાન સ્વીકારાયું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમવાર હદયનું દાન થયું છે. જેને અમદાવાદ સિમ્સ હોસ્પિટલ ખાતે એર એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં આવી હતી.
ત્રીજી અંગદાનમાં સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં મહાદેવનગર સોસાયટીમાં પોતાના સગાને ત્યાં રહેતા 23 વર્ષીય પ્રિતેશ રાજભર જેઓ ગત 30મી એપ્રિલના રોજ રાતે બાઈક લઈને નીકળ્યા હતા ત્યારે ગણપતનગર પાસે રોડ પર અકસ્માત થતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બે દિવસની સારવાર બાદ ગત 2જી મે ના રોજ તેમને ડોક્ટર દ્વારા બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. તેમના પરિવાર જનોને પણ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું જેથી પરિવારે સંમતિ આપતા જ સ્વ.પ્રિતેશની લીવર અને બે કિડની IKD અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા અને આંતરડા મુંબઈ ખાતે મોકલવામાં આવ્યા હતા. આમ સુરત સિવિલથી બીજી વાર આંતરડાનું દાન થયું છે.
આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડ ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, પરિવારજનોની માનવીય સંવેદના અને સિવિલ હોસ્પિટલના તબીબોના પ્રયાસોથી સુરતમાં અંગદાનની સરવાણી વહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન સોટોની ટીમ સભ્ય સિવિલ હોસ્પિટલમાં ત્રણ બ્રેઈનડેડ વ્યકિતઓના 10 અંગોનું મહાદાન થયું છે. આમ સિવિલ હોસ્પિટલ માં છેલ્લા છ મહિના દરમિયાન 24 વ્યકિતઓના અંગદાન થયા છે. જેમાં પ્રથમ વખત સુરત ખાતેથી હ્રદયનું પ્રેરણારૂપ દાન થતા માનવતાનું આદર્શ ઉદાહરણ સ્થાપિત થયું છે. અત્યાર સુધીમાં કુલ 68 અંગોનું દાન કરાયું છે, જેમાં 19 લીવર, 42 કિડની, 3 હાથ, 1 સ્વાદુપિંડ, 2 આંતરડા તથા 1 હ્દયના દાન થકી અનેક જરૂરિયાત મંદ દર્દીઓને નવજીવન મળ્યા છે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.