- મોરારી બાપુ પર ઈસ્લામનો પ્રચાર કરી રહ્યા હોવાની નકારાત્મક છાપ ફેલાવવા પ્રયત્ન થયો હતો
જાણીતા કથાકાર તરીકે મોરારી બાપુએ વૈશ્વિક ઓળખ મેળવી છે. પરંતુ તેઓ છેલ્લા કેટલાક સમયથી વિવિધ કારણોથી વિવાદમાં રહે છે. તાજેતરમાં મોરારીબાપુએ પોતાના જૂના વિવાદને યાદ કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક ડો. મોહન ભાગવતનું નામ લીધા વિના જ તેમના પર ટીપ્પણી કરી હતી. આ ટીપ્પણી હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
મહુવાના ભવાની મંદિર ખાતે ચાલી રહેલી સપ્તાહ દરમિયાન મોરારી બાપુએ RSSના સરસંઘચાલક ડો. મોહન ભાગવતનું નામ લીધા વિના જ તેમના પર ટીપ્પણી કરી હતી અને કહ્યું હતું કે ‘હું હિંદુ મુસ્લિમની વાત કરું તો મારી આકરી ટીકા કરો છો. હું ગઝલમાં ઉર્દુ શબ્દ બોલું તો મારી આકરી ટીકા થાય છે. હિંદુત્વના પ્રહરી મસ્જિદમાં પણ જઈ આવ્યા તો કોઈ બોલી શકતું નથી. હું હિંદુ-મુસ્લિમ એકતાનો પ્રયત્ન કરું તો કેટલાક લોકો સહન કરી શકતા નથી. મારી ટીકા કરનારા લોકો હિંદુત્વના પ્રહરીના મુદ્દે કેમ બોલી શકતા નથી?’. પોતે કથા દરમિયાન શેર બોલે, ગઝલ ગાય… એમાં કોઈ ઉર્દુ શબ્દ આવે.. પોતે બધાને ભેગા કરવા પ્રયત્ન કરે તો સૌ તૂટી પડતાં હતા તેમ યાદ કરાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આરએસએસના સરસંઘચાલક ડો. મોહન ભાગવતે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહ દરમિયાન અખિલ ભારતીય ઈમામ સંગઠનના મુખ્ય ઈમામ સહિતના મુસ્લિમ નેતાઓ સાથે કસ્તૂરબા ગાંધી માર્ગ સ્થિત મસ્જિદમાં બેઠક કરી હતી. તો પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી એસ. વાઈ. કુરૈશી અને દિલ્હીના પૂર્વ ઉપરાજ્યપાલ નજીબ જંગ સહિતના અનેક મુસ્લિમ બુદ્ધીજીવીઓને પણ મળ્યા હતા.