- સારંગપુર ગામના પાટિયા પાસે પતિની લાશ નાખી હત્યાને બાઇક સ્લીપ થતા અકસ્માતમાં ખપાવવા પ્રયાસ થયો હતો
- પત્નીનું પિયરમાં રહેતા પાડોશી પ્રેમી સાથે જ ચક્કર હોય એક સંતાનની માતાએ અંકલેશ્વરમાં ભાડે ઘરમાં હત્યા કર્યા બાદ અકસ્માતની વાર્તા ઘડી હતી
- અંકલેશ્વર એડિશનલ સેશન્સ કોર્ટના જજે 55 દસ્તાવેજી પુરાવા અને 14 સાહેદોના નિવેદનો સાથે રજૂ કરાયેલા પુરાવાને ધ્યાને લઇ ચુકાદો આપ્યો
અંકલેશ્વરના સારંગપુર ખાતે 7 વર્ષ પેહલા પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કર્યા બાદ ઘટનાને અકસ્માતમાં ખપાવવાના કરાયેલા પ્રયાસમાં એડિશનલ સેશન્સ જજે હત્યારા પ્રેમી અને પત્નીને આજીવન કેદની સજા ફટકારી છે.
અંકલેશ્વરના સારંગપુર પાટિયા પાસે 20 જાન્યુઆરી 2016ની રાત્રિના ગામ ખાતે રહેતા મહેન્દ્ર બારિયાની બાઇક સ્લીપ થઈ ગઈ હતી. ગંભીર ઇજાના પગલે તેનું મોત નીપજયું હતું. મૃતકના ભાઈ રમણ બારિયાએ પોતાના ભાઈની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરતાં પોલીસે મૃતદેહનું પી.એમ.કરાવ્યું હતું. બીજી તરફ મૃતકના ઘરે તપાસ કરતાં દરવાજા પર લોહીના ધબ્બા મળી આવ્યા હતા.
GIDC પોલીસે મૃતકની પત્ની ધર્મીષ્ઠાની આકરી પૂછપરછ કરતાં પત્નીએ પોતાના પ્રેમી ભલાભાઈ બારિયા જે મોરબીથી મળવા આવ્યો હતો. તેની સાથે મળી પતિને રાતે બે વાગ્યે ફોન કરી નોકરી પરથી દીકરો બીમાર હોવાનું બહાનું કાઢી ઘરે બોલાવ્યો હતો. ત્યાં કોઈ તીક્ષ્ણ હથિયારથી હત્યા કર્યા બાદ મૃતદેહને સારંગપુર પાટિયા પાસે બાઇક સાથે નાખી દઈ પુરાવાનો નાશ કર્યો હતો.
જે તે સમયે હત્યારા પ્રેમી અને પત્નીની ધરપકડ કરી ઝાડી ઝાંખરામાંથી હથિયાર અને લોહીવાળા કપડાં કબ્જે લેવાયા હતા. પ્રેમી ભલાભાઈ ધર્મિષ્ઠાના ગામનો જ હોય તે આગાઉ ગ્રામજનોને જાણ થતાં ધર્મિષ્ઠાને પતિ જોડે મોકલી અપાઈ હતી.આ કેસ અંકલેશ્વર એડિશનલ સેશન્સ જજ ડી.વી.શાહની કોર્ટમાં ચાલી ગયો હતો. સરકારી વકીલ એન.વી.ગોહિલે રજૂ કરેલા 55 દસ્તાવેજી પુરાવા, 14 સાહેદો અને દલીલોને ધ્યાને લઇ કોર્ટે હત્યારા પ્રેમી અને પત્નીને આજીવન કારાવાસની સજા ફરમાવી છે.




