ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જસ્ટિસ યુયુ લલિતનો કાર્યકાળ 8 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. તેમના કાર્યકાળના અંતિમ દિવસે તેઓ આજે EWS ક્વોટા કેસમાં ચુકાદો આપશે. CJI લલિત ચુકાદો આપવા માટે 5 જજની બંધારણીય બેંચના અધ્યક્ષ હશે. જસ્ટિસ ચંદ્રચૂડ પણ તેમની સાથે આ બેંચમાં જોડાશે. જેઓ 10 નવેમ્બરથી 50મા CJI તરીકે ચાર્જ લેવાના છે. તેઓ 9 નવેમ્બરે શપથ લેશે. સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ જજ જસ્ટિસ લલિત માત્ર 74 દિવસ માટે CJI બન્યા.
એપ્રિલ 2004માં તેમને સુપ્રીમ કોર્ટ દ્વારા વરિષ્ઠ વકીલ તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશો હેઠળ તમામ 2G કેસોની સુનાવણી માટે CBI માટે તેમને વિશેષ સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જસ્ટિસ લલિત બે ટર્મ માટે સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા લીગલ સર્વિસ કમિટીના સભ્ય પણ હતા. ક્રિમિનલ કાયદાના નિષ્ણાત જસ્ટિસ લલિત 13 ઓગસ્ટ 2014ના રોજ બારમાંથી સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા. સીજેઆઈ બનનાર તેઓ બારમાંથી બીજા જજ હતા.
સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં પ્રથમ વખત, જસ્ટિસ એનવી રમનાની નિવૃત્તિ દરમિયાન સીજેઆઈની ઔપચારિક બેન્ચનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેને સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર વેબકાસ્ટ કરવામાં આવ્યો હતો. CJI લલિતની ઔપચારિક બેન્ચનું લાઈવ સ્ટ્રીમિંગ પણ થશે. અગાઉ 26 સપ્ટેમ્બર 2018ના રોજ, સુપ્રીમ કોર્ટની 3 જજની બેન્ચે જાતીય અપરાધો અને વૈવાહિક વિવાદો સાથે સંકળાયેલા કેસ સિવાય સુનાવણીના લાઇવ-સ્ટ્રીમિંગને મંજૂરી આપી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે તેને વ્યવહારમાં અપનાવ્યો નથી. કર્ણાટક, ગુજરાત, ઓડિશા જેવી દેશની ઘણી હાઈકોર્ટ તેમના સંબંધિત સત્તાવાર યુટ્યુબ પર સુનાવણીનું જીવંત પ્રસારણ કરી રહી છે.