16 ગામોના 300થી વધુ આગેવાનો અને કાર્યકરો પણ ભાજપમાં જોડાયા
ચૂંટણી પહેલા જ વાગરા વિધાનસભા બેઠક પર ભાજપનો દબદબો : કોંગ્રેસ તિતર બિતર
આગામી વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસના કાંગરા ખરવાની શરૂઆત થઈ ચૂકી હતી. ભરૂચ જિલ્લામાં પૂર્વપટ્ટીના મજબૂત આગેવાન મહેશ પરમાર અને વાગરાના યાકુબ ગુરુજી સહિત આગલી હરોળના અનેક આગેવાનોએ કોંગ્રેસને બાય બાય કરી દેતા કોંગ્રેસનો કિલ્લો ધ્વસ્ત થવાની શરૂઆત થઈ હતી. આ આઘાતની કળ વડે તે પહેલા જ કોંગ્રેસના વધુ એક કદાવર નેતા અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજે 20થી વધુ ગામોના આગેવાનો અને કાર્યકરો સાથે કોંગ્રેસને છોડી ભાજપનો કેસરિયો ધારણ કરતા કોંગ્રેસ ચૂંટણી પહેલા જ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. જ્યારે વાગરા વિધાનસભા બેઠક પર ભાજપની પકડ વધુ મજબૂત બની રહી છે.
વાગરા તાલુકાના સાયખા ખાતે ભરૂચ જિલ્લા ભાજપનું જન સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની હાજરીમાં કોંગ્રેસના કદાવર આગેવાન અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજ, સાયખાના સરપંચ જયરાજસિંહ રાજ, દુધધારા ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન હેમંતસિંહ રાજ, વાગરા તાલુકા પંચાયતના સભ્ય મુબારક પઠાણ અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન યુનુસભાઈ સરપંચ સહિત 16 ગામોના આશરે 300થી વધુ કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા હતા. જેમને કેસરી ખેસ પહેરાવી ધારાસભ્ય અરુણસિંહ રણા અને જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ કેસરી ખેસ પહેરાવી આવકાર્યા હતા.
ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી હવે સાવ નજીકમાં છે. એક તરફ રાજકીય પક્ષો અને સરકાર પણ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ચુક્યા છે. ચૂંટણીલક્ષી રાજકારણ ધીરે ધીરે જામી રહ્યું છે. તેવા સંજોગોમાં કોંગ્રેસના મહેલના એક પછી એક કાંગરા ખરી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં આગલી હરોળના કોંગ્રેસના અડીખમ આગેવાનો કોંગ્રેસથી છેડો ફાડી રહ્યા છે. તેવા સંજોગોમાં કોંગ્રેસ ડેમેજ કન્ટ્રોલ કરવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. આમ છતાં કોંગ્રેસ સંગઠન તાર તાર થઈ રહ્યું છે. થિંગડા મારવાના લાખ પ્રયાસો છતાં ભરૂચ જિલ્લામાં અને તેમાં પણ ખાસ કરીને વાગરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ચૂંટણી પહેલા જ હાંસિયામાં ધકેલાઈ ચૂક્યું છે. જેની સીધી અસર આવનારી વિધાનસભા ચૂંટણીમાં જોવા મળે તો નવાઈ નહીં.
દસ વર્ષમાં વાગરા વિધાનસભા ક્ષેત્રની કાયાપલટ થઈ છે.
પહેલાના સમયમાં વાગરા વિધાનસભા ક્ષેત્રમાં ગામડાઓમાં લોકો કાદવ કિચડનો સામનો કરતા હતા. રસ્તાઓ ન હતા. છેલ્લા દસ વર્ષમાં વાગરાની કાયાપલટ થઈ છે. ગામે ગામ રસ્તાઓ છે, બ્લોક નખાયા છે. માં કાર્ડ ઘર ઘર સુધી પહોંચાડ્યા હતા, હવે આયુષ્યમાંન કાર્ડ ઘર ઘર સુધી પહોંચી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી પરદર્શીતાથી કામ કરે છે. જેના કારણે વિકાસ થયો છે. આ વિકાસના કામોમાં, જનહિતના કામોમાં સહયોગી બનવા મહેન્દ્રસિંહ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે તે આનંદની વાત છે. સૌ સાથે મળી કાર્ય કરીશું.