આઠ દિવસમાં બીજી વખત ખેત મજૂરી કરતી મહિલા પર દીપડા દ્વારા હુમલાનો બનાવ સામે આવતા દીપડો આદમખોર બની ગયો હોવાનું પ્રથમ દ્રષ્ટિએ માલુમ થઈ રહ્યું છે.વેલુગામ ગ્રામ પંચાયતે તા. ૩.૮.૨૨, તા. ૨૪.૮.૨૨ તથા તા.૩૦.૧૨.૨૨ એ દીપડાને પાંજરે પુરવા લેખિતમાં રજૂઆત કરી હતી પરંતુ કોઈ ઠોસ કામગીરી કરવામાં આવી નથી !
ગત તારીખ ૨૫.૧૨.૨૨ ના રોજ ઝઘડિયા તાલુકાના પાણેથા ગામે ખેતરમાં કપાસ વીણતી મહિલા પર દીપડાએ અચાનક હુમલો કર્યો ત્યારબાદ મહિલા સાથે રહેલા અન્ય વ્યક્તિઓ દ્વારા દીપડાના ચંગુલમાંથી આ મહિલાને બચાવી લેવામાં આવી હતી, એવી જ રીતે આજરોજ ઝઘડિયા તાલુકાના વેલુગામ ખાતે કંચનભાઈ માછી નામના ખેડૂતના ખેતરમાં મજૂરી કામ કરી રહેલ મહિલા રમીલા અમરસિંહ વસાવાને દીપડાએ અચાનક પાછળથી આવી જીવલેણ હુમલો કર્યો હતો, દીપડાએ મહિલા પર હુમલો કરતા આસપાસ રહેલા લોકોએ આ મહિલાને દીપડાનો શિકાર બનતા બચાવી હતી, ઇજાગ્રસ્ત મહિલાને પાણેથા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં આગળ ખસેડવામાં આવી હતી, બનાવમાં મહિલાને જાંગના ભાગે તેમ જ બરડાના ભાગે ઇજાઓ પહોંચી હતી વેલુગામ, ઇન્દોર, પાણેથા ખેત વિસ્તારમાં વારંવાર માનવીઓ પર દીપડાના હુમલાથી ખેડૂતો ભયભીત બન્યા છે સ્થાનિક ખેડૂતો દ્વારા વારંવાર વન વિભાગને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવા માટે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને જો ટૂંક સમયમાં આ દીપડાને ઝડપી પાડવા માટે વન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, ઝઘડિયા વનવિભાગની ઓફિસ પર સમગ્ર ગ્રામજનો ભૂખ હડતાલ પર બેસીશું તેમ વેલુગામના ડેપ્યુટી સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું.