દેડિયાપાડાના AAP ના ધારાસભ્યને સ્પીકરે બોલવા માટે 3 મિનિટનો સમય આપ્યો, એક શિક્ષક ધરાવતી 29 શાળા, 1986 નું એક્સ રે મશીન અને પાણી વગરના નળનું વિસ્તારનું વ્યક્ત કર્યું દર્દ. આદિવાસી દેડિયાપાડાના 305 ગામો, 3.5 લાખ લોકો સુધી શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને પ્રાથમિક જરૂરિયાતમાં નથી મળ્યો સહુનો સાથ સહુનો વિકાસ : MLA ચૈતર વસાવા
ગુજરાત વિધાનસભામાં મંગળવારે AAP ના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાનું પ્રથમ ભાષણ આપ્યું હતું. AAP ધારાસભ્યને સ્પીકર શંકર ચૌધરીએ બોલવા માટે 3 મિનિટનો સમય આપ્યો હતો. જેમાં તેઓએ પોતાના આદિવાસી મત વિસ્તારમાં અસુવિધાઓ અંગે મારો ચલાવ્યો હતો. પાણી વગરના નળ, માત્ર એક કાર્યકારી શિક્ષક સાથેની શાળાઓ અને 1986 નું એક એક્સ-રે મશીન એ થોડા ઉદાહરણો છે. જે આમ આદમી પાર્ટી AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમના આદિવાસી મતવિસ્તાર ડેડિયાપાડામાં સુવિધાઓના અભાવનું વર્ણન કરતી વખતે આપ્યા હતા.
વિધાનસભામાં પોતાની પ્રથમ સ્પીચ આપતા આપ MLA બોલ્યા હતા કે, ભાજપના સૌ નો સાથ, સૌ નો વિકાસના નારાને ગળે ઉતરવું મુશ્કેલ છે. ડેડિયાપાડાના મારા મતવિસ્તારમાં 305 ગામો છે જ્યાં 3.5 લાખ લોકો રહે છે. આ હોવા છતાં, સરકારે 1986 નું એક્સ-રે મશીન સિવાય એક પણ આધુનિક મશીન આપ્યું નથી.
જ્યારે કોઈ બીમાર પડે અથવા બાળકના જન્મ માટે અંકલેશ્વર, ઝઘડિયા, ભરૂચ અથવા વડોદરા જવું પડે છે. વસાવાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમારા વિસ્તારમાંથી બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનની શરૂઆત કરી હતી. પરંતુ મારા વિસ્તારમાં 29 પ્રાથમિક શાળાઓ એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષક છે. ઘણી શાળાઓ જર્જરિત હાલતમાં છે. AAP ધારાસભ્ય જેમને સ્પીકર શંકર ચૌધરીએ બોલવા માટે ત્રણ મિનિટનો સમય આપ્યો હતો તેમણે પણ પીવાના પાણીના મુદ્દે સરકાર સામે પ્રહારો કર્યા હતા. નલ સે જલ યોજના હેઠળ 400 કરોડના કામો હાથ ધરવામાં આવ્યા હતા જે અંતર્ગત તમામ ગામોમાં નળ ફીટ કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી આ નળમાંથી પાણીનું એક ટીપું પણ નીકળ્યું નથી.
સિંચાઈ માટેના પાણી વિશે વાત કરતા વસાવાએ જણાવ્યું હતું કે તેમના મત વિસ્તારના પરિવારોનું સરદાર સરોવર પ્રોજેક્ટ, કડાણા ડેમ અને ઉકાઈ ડેમ પ્રોજેક્ટ હેઠળ પુનર્વસન કરવામાં આવ્યું છે. મહિલાઓ વચ્ચે મોટાભાગના ઝઘડા અમારા વિસ્તારમાં પીવાના પાણીને લઈને થાય છે. જ્યારે રાજ્ય સરકાર નર્મદા ડેમનો શ્રેય લે છે, ત્યારે હું સરકારને કહેવા માંગુ છું કે નર્મદા ડેમથી માત્ર 2 કિલોમીટર દૂર મતસર અને કાનાજી ગામ છે જ્યાં લોકો પીવાનું પાણી મેળવવા માટે સંઘર્ષ કરે છે. નોકરીઓ વિશે વસાવાએ ધ્યાન દોર્યું કે, અંકલેશ્વર, દહેજ અને ભરૂચ ડેડિયાપાડાની નજીકના ઔદ્યોગિક ક્લસ્ટરો છે. દરેક 6000 થી 7000 અસંગઠિત કામદારો કામની શોધમાં ભરૂચ ચોકડી પર એકઠા થાય છે. અંતે સ્પીકરે તેમને રોક્યા હતા કે તેમનો બોલવાનો સમય પૂરો થઈ ગયો છે.