Published by : Vanshika Gor
- અહીં મહાશિવરાત્રીએ શિવ નહિ પણ શક્તિની પૂજા, ગુજરાતનું એવું ધામ જ્યાં ચઢે છે યાહ મોગી માતાને મદિરા, પશુ, ધન, ધાન્ય અને સોના, ચાંદીના દ્રવ્ય
- મહાશિવરાત્રીથી પાંચ દિવસ ભરાતા મેળામાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના આદિવાસીઓ દર્શનાર્થે ઉમટે છે
- કુળ દેવી પાંડુરી માતાના દર્શને આવતા યુવક-યુવતીઓએ આ નિયમોનું કરવું પડશે પાલન, બાકી નહિ મળે મંદિરમાં પ્રવેશ
- નર્મદા જિલ્લામાં આવેલા મંદિરનું નિર્માણ આદિવાસી અને નેપાળી શૈલીમાં, યાહ મોગી પાંડુરી માતાની પ્રતિમા છે સોનાની
ગુજરાત સહિત દેશભરમાં મહાશિવરાત્રીની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. ભક્તો ભોલેનાથને ભાંગ, ભસ્મ સહિતનો ભોગ ચઢાવે છે પણ ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા આદિવાસી ધામ દેવમોગરામાં મહાશિવરાત્રીએ શિવ નહિ પણ શક્તિની પૂજા કરી ચઢાવાય છે મદિરા, પશુ, ધન,ધાન્ય.આદિવાસી નર્મદા જિલ્લામાં અનાદિકાળથી યોજાતો દેવમોગરાનો ધાર્મિક મેળો અલગ રીતે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ દેવમોગરા , નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળાથી આશરે 60 કિમીના અંતરે સાગબારા તાલુકામાં આવેલું છે. સાતપુડા પર્વતની તળેટીમાં વસેલા સાગબારા તાલુકાના ગીચ જંગલ વિસ્તારમાં હરિયાળી વનરાજી વચ્ચે દેવમોગરા ખાતે આદિવાસી સમાજના કુળદેવી શ્રી પાંડુરી માતાજીનું પૌરાણિક ધાર્મિક સ્થળ આવેલુ છે .નર્મદા નદીના દક્ષિણ કાંઠાથી સાતપુડા પર્વતની હાર માળાના વિસ્તારને હેલાધાબ તરીકે ઓળખાય છે. જેનું પ્રાકૃતિક સૌંદર્ય રમણિય છે. જ્યા આ પાંચ દિવસોમાં 5 થી 6 લાખ ભક્તો દર્શન કરે છે.
આદિવાસીઓની કુળદેવી યાહ મોગી માતાજીના ઇતિહાસ અંગે લોકમાન્યતા છે કે , વર્ષો પૂર્વે હેલાધાબમાં ઉમરાવણ નામની દેવી કે જેમની સાત પુત્રીઓ હતી તેમાં સૌથી નાની પુત્રીનું નામ યાહ મોગી હતું. યાહ મોગી ખુબ જ દૈવી શક્તિ ધરાવતા હતા. તેમના દર્શનથી દુઃખિયારાઓના દુઃખો દુર થતા હતા અને તેમની મનોકામનાઓ પુર્ણ થતી હતી. આમ યાહ મોગી માતાજી તરીકે સર્વત્ર પુજાતા થયા. માતાજીની શક્તિની ખ્યાતિ ચોમેર ફેલાવા લાગી હતી. તે જમાનાના રાજાપાંઠા અને વિનાદેવ નામના દૈવી પુરૂષોએ માતાજીના દર્શનાર્થે ઘોડે સવારી કરી નિકળ્યા હતા.યાહ મોગી માતાજીને આ બાબતની જાણ થતા માતાજી અદ્રશ્ય થઇ ગયા હતા. માતાજીની આ શક્તિથી બન્ને દેવી પુરૂષો પ્રભાવિત થયા હતા. તેમને માતાજીની સોનાની મુર્તિ બનાવી દેવ મોગરા ખાતે પ્રતિષ્ઠા કરી હતી. આ દેવી પુરૂષોએ માતાજીના પુજાપામાં ધન , ધાન્ય , મદિરા અને પશુ – પંખીઓ માતાજીના ચરણે ધરી પુજા કરી ત્યારથી આજ સુધી માતાજીની પુજા – દર્શનમાં ધન , ધાન્ય , મદિરા અને પશુ – પંખીઓ ચરણે ધરાવવાની પ્રથા ચાલતી આવે છે.
આ સોનાની માતાજીની મૂર્તિની સામે આજે પણ લોકો દેવમોગરા મંદિરમાં આ જ પ્રથાથી પુજા – દર્શન કરે છે. શ્રધ્ધાળુ ભક્તો પોતાના દુઃખ – દર્દો દુર કરવા માતાજીની બાધા રાખે છે અને માતાજી તેમની મનોકામના પુર્ણ કરે છે. જેના બદલામાં શ્રધ્ધાળુ ભક્તો પોતાની શક્તિ મુજબ ધન , દ્રવ્ય અને મદિરા સાથે સોના – ચાંદીના દાગીના પણ માતાજીના ચરણે ધરાવી ધન્યતા અનુભવે છે.દેવમોગરા ખાતે મહા વદ 14 ની રાત્રિએ ઉત્સવ ( બાંઅ ) યોજાય છે. આ રાત્રિએ બોહણ ( એક ધાર્મિક સ્થળ ) ની પુજા થાય છે. બીજે દિવસે અમાસના વહેલી સવારે માતાજીના સ્થાનકથી ઉત્તર દિશામાં નદી કિનારે વાગણ્યા ગાદી ( ધાર્મિક સ્થળ ) ની પુજા થાય છે. અમાસના દિવસે સાગબારાના રાજવી પરિવાર સૌ પ્રથમ માતાજીની પુજા – અર્ચના કરે છે . ત્યાર બાદ રૈયત – પ્રજા પુજાવિધી કરે છે. આ દિવસે માતાજીની ભવ્ય સ્નાન યાત્રાની સવારી નિકળે છે. યાત્રામાં બહોળા પ્રમાણમાં લોકો નાચ – ગાન કરતા કરતા હર્ષોલ્લાસ સાથે જોડાય છે.
માતાજીના સ્નાનનું પવિત્ર જળ લેવા માટે ભારે ઘસારો થાય છે અને પવિત્ર જળના સેવનથી તન – મનના દુઃખો દુર થાય છે અને ભાવિકો ધન્યતા અનુભવે છે. મહાશિવરાત્રિથી ભરાતા પાંચ દિવસીય મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી શ્રદ્ધાળુઓ સાથે અન્ય ભક્તો ઉમટી પડે છે.તમે પણ દેવમોગરા દર્શનાર્થે જતા હોય તો મંદિરના આ નિયમો જાણી લો, નહિ તો નહીં મળે પ્રવેશદેવમોગરા માતા મંદિર તરફથી સાર્વજનિક નોટિસ જાહેર કરાઈ છે. જેના નિયમોનું પાલન અહીં આવતા દર્શનાર્થીઓએ કરવું ફરજિયાત છે. પુરુષો મંદિરમાં ફાટેલા, શોટ કપડાં પહેરી શકાશે નહીં. માથા ઉપર આદિવાસી પાઘડી , સફેદ કાપડની જ પહેરી પ્રવેશ કરી શકાશે. જ્યારે સ્ત્રીઓ જીન્સ કે શોટ કે અન્ય ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશ કરી શકશે નહીં. માથા ઉપર દુપટ્ટો ઓઢયા બાદ જ મંદિરમાં પ્રવેશ અપાશે.