Published by : Rana Kajal
- નર્મદા શાખા નહેર પર તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાય તે જરૂરી…
ગુજરાતની જીવાદોરી ઍવી નર્મદા નદીનુ પાણી વેડફાઇ રહ્યુ છે. માનવ સર્જિત ગાબડા પડતાં પાણી રણમાં વહેતું કરવું પડે તેવી પરિસ્થિતી સર્જાઈ છે.નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલના ભચાઉ પંપિંગ સ્ટેશન નંબર 3 પાસે સાંકળ 191 નજીક માનવ સર્જિત ગાબડું જણાયું હતું. નર્મદા જિલ્લાના કેવડીયાથી 743 કિલોમીટરની મઝલ કાપીને ગત જુલાઈના પ્રથમ સપ્તાહમાં નર્મદાના નીર મોડકુબા પહોંચ્યા હતા, તો તા 28 ઓગસ્ટના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કરી વિધિવત કચ્છની જીવાદોરીને કિસાનો માટે ખુલ્લી મૂકી હતી. પરંતુ કોઈકને કોઈ કારણસર કેનાલમાં ક્ષતિ રહી જાય ત્યારે ગાબડું પડે અને નર્મદાના નીરને અટકાવવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. સોમવારે ભચાઉ પપિંગ સ્ટેશન નંબર ત્રણ નજીક સાંકળ નંબર 191 પાસે માનવ સર્જિત ગાબડું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ. સ્થાપિત હિતો દ્વારા જ અંગત સ્વાર્થ ખાતર કચ્છની જીવાદોરીને ટૂંપો દેવાનું જઘન્ય કૃત્ય કરી રહ્યા છે.
સલીમગઢ સાંકળ નંબર ઝીરોથી મોડકુબા સુધી 354 કિલોમીટરની કચ્છ બ્રાન્ચ કેનાલમાં 1550 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જે હાલ કેનાલના વિસ્તારમાં આવતા ખેડૂતો માટે ત્રીજો અને ચોથો પાક લેવા ખૂબ મહત્વનો સાબિત થઈ રહ્યો હતો. પરંતુ સોમવારે ભચાઉ નજીક પંપિંગ સ્ટેશન નંબર ત્રણ પાસે ગાબડું પડતા ઉપરથી આવતા પાણીને અંદાજે 800 કયુસેક જેટલું રણમાં વેડફી નાખવું પડ્યું હતું.સમારકામ બાબતે નર્મદા નિગમના મુખ્ય ઇજનેર એસ.બી.રાવે જણાવ્યું હતું કે, કેનાલમાં ક્ષતિ થયેલું માલુમ પડતા તેના રીપેરીંગનું કામ શરૂ કર્યું છે. જે બે દિવસમાં પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ ફરીથી બીજા બે દિવસમાં પુનઃ પાણી શરૂ થઈ જશે. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ સ્થાપિત હિતો દ્વારા અંગત સ્વાર્થથી આ ગાબડું પાડવામાં આવ્યુ હતું.
જેને કારણે ઉચ્ચકક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી હતી. તો સ્થાનિક કિસાનો એકઠા થઈ અને રજૂઆત કરે તેવી ગતિ પણ તેજ થઈ છે. જો કે, ઉલ્લેખનીય છે કે હાલ કેનાલમાંથી પાણી લઈને બે પાંદડે થયેલા ખેડૂતો જ જો સાંખી લેશે તો ફરીથી એ જ ચોમાસુ આધારિત ખેતી તરફ વળવું પડશે.
ભચાઉ પાસેનું ગાબડું અને તેને રીપેરીંગનું કામ તો બે ચાર દિવસમાં પૂરું થઈ જશે, પરંતુ પાણીને પુનઃ વહેતું કરતા બીજા સાત દિવસ નીકળી જશે તેવું નર્મદાના પાણી સંદર્ભે જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું અધિકારીના કહેવા મુજબ મરામત અને ત્યારબાદ પુનઃ પાણીનો પ્રવાહ નિયત થતા વધુમાં વધુ ચાર પાંચ દિવસ લાગશે.પરંતુ જાણકારો કહે છે કે તેને પૂર્વવત થતા બીજા સાત દિવસ નીકળી જાય તો જે લોકોએ નર્મદાના પાણી આધારિત પાકનું વાવેતર કર્યું હોય તેમને પખવાડિયા જેટલું થતા મોલ સુકાવા મંડશે અને લાખોનું નુકસાન થાય તેવી શક્યતા છે.