- 25 અને 26 ફેબ્રુઆરીના બે દિવસીય ઉત્સવના આયોજન અંગે બેઠક યોજાઈ
- કમલેશ બારોટ તથા ગીતાબેન રબારી જેવા ખ્યાતનામ કલાકારો ઉપસ્થિત રહેશે
ભરૂચના સુપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ શુકલતીર્થ ખાતે 25 અને 26 ફેબ્રુઆરીના બે દિવસીય શુકલતીર્થ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ અન્વયે સુપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ ભરૂચ ખાતે સંભવિત આગામી 25 અને 26 ફેબ્રુઆરી 2023 એમ બે દિવસીય ઉત્સવના આયોજન કરવા માટેની યોજના અંર્તગત ભરૂચમાં શુકલતીર્થ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.ભરૂચ જિલ્લામાં શુકલતીર્થ ખાતે બે દિવસીય ઉત્સવનું આગોતરૂ આયોજન થનાર છે. આ હેતુસર કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, સભાખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લો પ્રવાસન ક્ષેત્રે બહોળી નામના ધરાવે છે. ત્યારે આગામી સમયમાં ભરૂચ ખાતે શુકલતીર્થ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે સુચારું આયોજન અંગે મિંટીંગનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં જિલ્લા કલેકટરે ઉપસ્થિત અમલિકરણ અધિકારીઓને મેળા અંગેના આયોજન અંગે સુચારૂ વ્યવસ્થા થાય તે માટેના જરૂરી સૂચનો તથા માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. જ્યારે કલેક્ટર તુષાર સુમેરાએ સર્વગ્રાહી સમિક્ષા કરી નદી ઉત્સવ ભરૂચના લોકો માટે યાદગાર બની રહે તેવા પ્રયત્નો તંત્ર કરે તેવી હાંકલ કરી હતી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રસંગે તા. 25 ફેબ્રુઆરીએ ખ્યાતનામ કલાકાર કમલેશ બારોટ તથા તા. 26 ફેબ્રુઆરીએ ગીતાબેન રબારી જેવા કલાકાર લોકોને મનોરંજન પુરૂ પાડીને શુકલતીર્થ ઉત્સવ જેવા નવો આયામ આપશે. આ મિંટીંગમાં જિલ્લા વિકાસ અધિકારી પી આર જોશી, નિવાસી અધિક કલેકટર એન આર ધાધલ તથા અમલીકરણ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.