Published By : Parul Patel
રાજયમાં મસ્જિદો પર લાઉડ સ્પીકર વગાડવા અંગે વારંવાર વિવાદ ઉભો થાય છે, ત્યારે ગુજરાત સરકારે એફિડેવિટ કરી ખાસ ચોખવટ કરી છે…
ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરના ડોક્ટર ધર્મેન્દ્ર પ્રજાપતિ દ્વારા મસ્જિદ પરના લાઉડસ્પીકર મુદ્દે દાખલ કરવામાં આવેલી PIL મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકાર વતી ગૃહ વિભાગના એડિશનલ સેક્રેટરી નિખિલ ભટ્ટ દ્વારા હાઇકોર્ટમાં સોંગદનામું રજૂ કરાયું હતું. જેમાં સરકાર દ્વારા અઝાન માટે અથવા તો ધર્મિક કાર્યક્રમો માટે લાઉડસ્પીકર વાપરવું હોય તો એ માટે પરવાનગી લેવી જરૂરી છે, તેમજ નોઈઝ પોલ્યુશન નિયમો અંતર્ગત દિવસ અને રાત્રી દરમિયાન તેમજ કોમર્શિયલ તથા રહેણાક વિસ્તારમાં જે ડેસિબલ નક્કી કર્યા છે એનાથી વધારે જો અવાજ હોય તો તેમની સામે જરૂરી પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત સરકાર દ્વારા DySP કક્ષાના 56 નોડલ ઓફિસરનું લિસ્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે અરજદારના વકીલ દ્વારા આગામી સુનાવણીમાં આ લિસ્ટ જાહેર કરવામાં આવે એ મામલે રજૂઆત કરવામાં આવશે. રાજ્યની મસ્જિદ પરના લાઉડસ્પીકર મુદ્દે PIL
ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરના ડોક્ટર ધર્મેન્દ્ર પ્રજાપતિ દ્વારા મસ્જિદ પરના લાઉડસ્પીકર મુદ્દે અગાઉ એક PIL દાખલ કરવામાં આવી હતી, જેમાં ડોક્ટરના ક્લિનિક પાસે મસ્જિદમાં લાઉડસ્પીકર દ્વારા દિવસમાં પાંચ વખત મોટેથી અઝાન વગાડવામાં આવતી હોવાથી આ ધ્વનિ પ્રદૂષણ મનુષ્યના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, એવી રજૂઆત કરવામાં આવી હતી. અરજદાર દ્વારા અલાહાબાદ હાઇકોર્ટના નિર્ણયને પણ ટાંકવામાં આવ્યો હતો, જેમાં એ સ્પષ્ટ કરાયું હતું કે નમાઝ અને અઝાન એ મુસ્લિમ ધર્મમાં પ્રાર્થનાનું અભિન્ન અંગ છે. પરંતુ લાઉડસ્પીકર અને માઇક્રોફોન એનાં અભિન્ન અંગ નથી. લોકોને ખલેલ પડે એ રીતે ધર્મ સ્વતંત્રતા અંતર્ગત એનો ઉપયોગ કરી શકાય નહીં. 16 ઓક્ટોબર 2019એ DySP કક્ષાના 56 નોડલ ઓફિસરનું લિસ્ટ શહેર અને જિલ્લામાંથી તૈયાર કરવામાં આવ્યું હતું, જેમને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યા હતા. આ ટ્રેનિંગ 26 ફેબ્રુઆરી, 29 ફેબ્રુઆરી અને 3 માર્ચ એમ ત્રણ ફેસમાં હાથ ધરાઇ હતી. પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા 13 ફેબ્રુઆરી 2020ના રોજ અવાજનું મોનિટરિંગ કરતાં 35 મશીન પણ વસાવવામાં આવ્યાં હતાં. રાજ્ય સરકારે જિલ્લાદીઠ નિમાયેલા અધિકારીઓનાં નામ અને મોબાઇલ નંબર સહિતની વિગતો સોગંદનામામાં રજૂ કરી છે.