- રાજ્યના ગૃહ મંત્રી સમક્ષ છેલ્લા 3 – 4 દિવસ ગરબાનો સમય વધારવા રજૂઆત કરાઈ
- ગૃહ મંત્રીએ ખાતરી આપી સમય અવધિ વધારવા વિચારણા કરવા જણાવ્યું
વડોદરા : ગુજરાતીઓના પ્રિય તહેવાર નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે છેલ્લા 3 – 4 દિવસ ગરબા માટેની સમય અવધિમાં વધારો કરવામાં આવે તેવી રજૂઆત રાજ્યના ગૃહ પ્રધાન સમક્ષ કરી છે. વડોદરાના મોટા ગરબા આયોજકો દ્વારા તેઓને રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે યોગેશ પટેલે પોતાની વાત ગૃહ પ્રધાન સમક્ષ મૂકી છે
આગામી સોમવારથી નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે. કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે નવરાત્રીનું દરેક સ્થળે મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે અને યુવાધન પણ ગરબામાં હિલોળે ચઢવા ઉત્સુક છે ત્યારે વડોદરાના મોટા ગરબા આયોજકો કે જેઓ જંગી ખર્ચ કરે છે તેઓએ વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલ સમક્ષ રજૂઆત કરી હતી કે જો ગરબાની સમય અવધિમાં વધારો થાય તો તેઓ માટે આનંદની વાત છે. આ રજૂઆતના પગલે આજરોજ ધારાસભ્ય યોગેશ પટેલે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સમક્ષ આ રજૂઆત કરી હતી અને ગરબાના છેલ્લા 3 – 4 દિવસ ગરબા રાતે અઢી વાગ્યા સુધી ચાલવા દેવા મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. ગૃહ મંત્રીએ આ રજૂઆત સાંભળી તેઓને ખાતરી આપી હતી કે યોગ્ય ચકાસણી કરી અને મંજૂરી આપવામાં આવશે. ગરબામાં સમય અવધિ વધારવામાં આવશે તો ખેલૈયાઓમાં આનંદની લાગણી ફરી વળશે.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)