- જીવા અને તત્વના ગુરુની પ્રતિક્ષાનો અંત 600 વર્ષ પહેલાં આવ્યો
- અનેક સંતોના ચરણને સ્પર્શ થયા બાદ પણ નહિ ઉગી નીકળેલ સંત કબીરના એક સ્પર્શથી ઘટાદાર બન્યો વડલો
ભરૂચ જિલ્લાના મંગલેશ્વર મઢી કબીરવડ ઘાટથી સામે પાર આવેલ કબીરવડ 600 વર્ષથી અસ્તિત્વ ધરાવે છે.
ભરૂચ જિલ્લાના નર્મદા નદી કિનારે આવેલો કબીરવડ તેની વિશાળતા માટે વિશ્વ પ્રખ્યાત છે. કબીરવડ જવા માટે ભરૂચથી શુકલતીર્થ થઇને જવું પડે છે. ઝનોર જવાના રોડ પર આવેલ કબીરમઢી નામના સ્થળ પરથી હોડીમાં બેસીને સામે પાર કબીરવડ જવું પડે છે. નર્મદા નદીની વચ્ચે બેટ પર આવેલ કબીરવડ ધાર્મિક સ્થળ છે. અહી સંત કબીરનું મંદિર આવેલું છે. તો ઘટાદાર વડ આવેલો છે.

600 વર્ષ કરતા પણ જૂના કબીર વડ સાથે પૌરાણિક કથા સંકળાયેલ છે. એક માન્યતા પ્રમાણે આ સ્થળ સાથે એવી કથા રહેલી છે કે જીવા અને તત્વ નામના બે બ્રાહ્મણ ભાઈઓ અહી રહેતા હતા. આ બન્ને ભાઈઓએ સંકલ્પ લીધો હતો કે સંતના ચરણ ધોયા બાદ પાણી વડની સૂકી ડાળીમાં નાખવામાં આવે અને લીલું થાય તો જ સંતને ગુરુ કરવા. આ અંગેની ચર્ચા કાશીમાં ચાલતી હતી કે બે ભાઈઓ સંતોની પરીક્ષા કરે છે તે સાંભળીને સંત કબીર માત્ર 10 વર્ષની વયે ઇસ 1465માં ગુજરાતના ભરુચ ખાતે આવી પહોંચ્યા હતા.

જીવા અને તત્વ નામના બે બ્રાહ્મણ ભાઈઓએ સંત કબીરના ચરણ ધોઈને વડની સૂકી ડાળીમાં નાખતા તે લીલુંછમ થઈ ગયું હતુ. ત્યારથી કબીરવડ અસ્તિત્વમાં આવ્યું. સંત કબીરનો જન્મ ઇસ 1455માં થયો હતો. મંદિરની પાછળ મુખ્ય વડ આવેલું છે. કબીર સાહેબ કોઈ ધર્મમાં માનતા નથી.વર્ષ 1967માં રેલ આવી હતી. તે સમય બાદ થડ પડી ગયું છે જેની શાખાઓ અહી હજી પણ અસ્તિત્વમાં છે.3.5 એકરમાં ફેલાયેલા વડલાના વૃક્ષને 3000 જેટલી વડવાઈઓ છે તેની નીચે ઊભા હોઈએ ત્યારે ગાઢ જંગલમાં ઊભા હોઈએ તેમ લાગે છે. વડલા હેઠળ 7000 સૈનિકોએ આશરો લીધો હોવાનો ઇતિહાસમાં ઉલ્લેખ કરાયો છે.

કબીરવડ ખાતે લોકો પોતાની માનતાઓ લઈને આવે છે. એક વ્યકિતને કંઈ સંભળાતું ન હતું તે તેની બાધા રાખી હતી. તેઓની બાધા પૂર્ણ થતાં ભજન કીર્તન કર્યું હતુ.અહી વસતા મહંતએ જણાવ્યું હતું કે કબીરવડનો વિકાસ કરવા માટે કોઝવેની જરૂરિયાત છે. જિલ્લા પંચાયતે લીમોદરાથી કબીરવડ ડીપ કોઝવે માટે છેલ્લા 12 વર્ષથી 14 કરોડનો પ્રોજેકટ મૂક્યો છે. પણ હજી સુધી તેનો કોઈ વિકાસ થયો નથી.
અહી સ્મૃતિ ભવન ખાતે રાત્રિ રોકાણ કરવા આવતા લોકો માટે રહેવાની સુવિધા આપવામાં આવી છે. 500 રૂપિયામાં ડબલ બેડરૂમ સહિતની સુવિધા છે તો એક પર્યટકે જણાવ્યું હતું કે દિવસે આવી ને જતા રહેતા લોકો માટે અહી કોઈ સુવિધા કરવામાં આવી નથી. તેમજ મહિલાઓ માટે અહી શૌચાલય હોવું જોઈએ તો લોકો પણ અહી વધુ આવે એમ જણાવ્યું હતુ.




