સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે જે 29 ડિસેમ્બર સુધી ચાલશે. જે અંગે કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ શુક્રવારે ટ્વિટ કરીને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આગામી શિયાળુ સત્ર 23 દિવસનું હશે જેમાં 17 બેઠકો થશે. અમૃતકાળ વચ્ચે સત્ર દરમિયાન કાયદાકીય કાર્ય અને અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે. મળતી માહિતી અનુસાર આ પહેલું સત્ર હશે, જે દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, જે રાજ્યસભાના અધ્યક્ષ છે, ગૃહની કાર્યવાહીની અધ્યક્ષતા કરશે. સત્ર એવા સમયે શરૂ થશે જ્યારે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની લહેર હશે.
સરકાર સંસદના આગામી સત્ર દરમિયાન ઘણા બિલ પસાર કરવાની યોજના બનાવી રહી છે, ત્યારે વિપક્ષ તાકીદની બાબતો પર ચર્ચાની માગ કરી શકે છે. સત્રના પ્રથમ દિવસે સભ્યો દિવગંત સભ્યોને સમ્માન આપે તેવી શક્યતા છે. બેઠક સભ્યોના નિધનને જોતા આગામી સત્રના પ્રથમ દિવસની કાર્યવાહી સ્થગિત કરવામાં આવે તેવી શક્યતા જણાઈ રહી છે.સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહ યાદવના પણ હાલમાં જ નિધન થયા છે. જૉકે કોરોનાની સ્થિતિને જોતા તેમજ લોકસભા અને રાજ્યસભા સચિવાલયના મોટાભાગના સભ્યો અને સ્ટાફને રસી આપી હોવાને કારણે સત્ર કોઈપણ પ્રતિબંધ વિના યોજાય તેવી શક્યતા છે.
જો કે છેલ્લા બે વર્ષમાં કોવિડના કારણે સંસદ સત્ર પ્રભાવિત થયું હતું. જયારે જ્યરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આ સંસદના શિયાળુ સત્રમાં હાજરી આપી શકશે નહીં કારણ કે તે સમયે રાહુલ ભારત જોડો યાત્રામાં વ્યસ્ત હશે. કોંગ્રેસનું કહેવું છે કે રાહુલ ગાંધી યાત્રા અધવચ્ચે છોડીને ક્યાંય જવા માગતા નથી. આ કારણે રાહુલ ગાંધી હિમાચલ વિધાનસભા ચૂંટણી માટે રેલીમાં નહોતા ગયા. જોકે કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદીમાં રાહુલ અને સોનિયા ગાંધી સહિત 40 મોટા નેતાઓના નામ સામેલ કર્યા છે.




