Published by : Rana Kajal
રાજયના હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં ત્રણ વર્ષના માસુમ બાળકનું અકસ્માતમાં મોત નિપજ્યું હોવાની ફરિયાદ હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયા બાદ પોલીસની તપાસમાં આ માસુમનું મોત અકસ્માતથી નહીં પરંતુ હત્યા કરાઈ હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે… આ અરેરાટી ભરેલ બનાવમાં ત્રણ વર્ષના બાળકની હત્યા તેની માતાના જ પ્રેમીએ ગડદાપાટુનો મુઢ માર મારીને કરી હોવાની તેણીએ કબુલાત કરી હતી.પોતાના પ્રેમીને બચાવવા માટે જનેતાએ ઘરે આવી અકસ્માતની ઘટના ઉપજાવી કાઢી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે હત્યારા તેમજ માસુમની હત્યામાં મદદ કરનાર જનેતાની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.
બુધવારે તા 28 જૂનના રોજ સવાર ના અરસામાં પોલોગ્રાઉન્ડ વિસ્તારના અલીફ મસ્જિદની બાજુની ગલીમાં આશરે ત્રણ વર્ષના બાળક કૃણાલને કોઇ બાઈકચાલકે ટક્કર મારી મોત નિપજાવ્યું હોવાની તેના પિતા વાલજીભાઇ નાથાભાઇ સલાટે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જો કે, કોઇપણ સ્થાનિક રહીશે અકસ્માતની ઘટના અંગે કોઇ સમર્થન આપ્યું ન હતું તેમજ સીસીટીવી ફૂટેજમાં પણ કોઇ શંકાસ્પદ વાહન જણાયું ન હતું. પીએસઆઇ વી.આર. ચૌહાણે મૃતક કૃણાલની માતા જમનાબેન સલાટની પુછપરછ કરતા સમગ્ર બનાવ અંગે ખુલાસાઓ કર્યા હતા. પોલીસની પુછપરછ દરમિયાન જમનાબેન સલાટે કુબલાત કરી હતી કે છેલ્લા એક વર્ષથી પડોશમાં રહેતા ભરતભાઇ અમરતભાઇ સલાટ સાથે પ્રેમસબંધમાં હતી અને કાંકણોલ ચીકુ વાડી પાસે સોમનાથ સોસાયટીમાં એક ભાડાનુ મકાન ભરતભાઇએ રાખ્યુ હતુ. બુધવારે ભરત અમરતભાઇ સલાટને મળવા માટે તેના ત્રણ વર્ષના માસુમ દિકરા કૃણાલને લઇ ગઇ હતી. જે દરમિયાન તેનો બાળક રડવા લાગતા ભરત અમરત સલાટે તેને ગડદા પાટુનો મુઢ માર મારી તેની હત્યા કરી નખી હતી. જેથી ગભરાઇ ગયેલી જમનાબેન સલાટે મૃતક બાળક કૃણાલને પોતાના ઘરે લાવી સમાજમાં અકસ્માતની ખોટી વાત ઉપજાવી કાઢી હતી અને તેના પતિ વાલજીભાઇ નાથાભાઇ સલાટને સમગ્ર અકસ્માતની ઘટના અંગે પોલીસ મથકમાં ખુદ તેના પતિના નામ જોગ અજાણ્યા મોટર સાયકલ ચાલક વિરૂધ્ધ ફરિયાદ અપાવી હતી.