અમદાવાદના 101 વર્ષના વિમળાબેન રાઠોડ સ્વીકાર કરી રહ્યા છે કે ચૂંટણીના દિવસે સવારે વહેલા ઊઠીને તેઓ પોતાનો મત આપવા જશે તો સાથે તે પણ સ્વીકાર કરી રહ્યા છે કે મતદાન અંગે જાગૃતિ હોવી જરૂરી છે. કોઈપણ નવા મતદારને આગ્રહ પૂર્વક મત આપવા ન મોકલવા જોઈએ.
રાજ્યમાં આગામી મહિને વિધાનસભાની ચૂંટણીઓ યોજવા જઈ રહી છે આ તરફ ચૂંટણી પંચે ત્રણથી સાડા ત્રણ લાખ નવા મતદારો ઉમેરાયા હોવાની માહિતી આપી તો બીજી તરફ સિનિયર સિટીઝનનો આંકડો નવ લાખને પાર કર્યો છે. અમદાવાદના આવા જ સિનિયર સિટીઝનો જુસ્સો આ ચૂંટણીમાં પણ યથાવત છે. અમરાઈવાડીમાં રહેતા પંડ્યા દંપત્તિ આ વખતે ચૂંટણી પંચે આપેલી સુવિધાનો ઉપયોગ કરીને ઘરેથી મતદાન કરશે તો આ પહેલા કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરકારમાં પણ તેઓ મતદાન કરી ચૂક્યા છે. પંડ્યા દંપત્તિનું માનવું છે કે મતદાન એ આપણો પ્રથમ અધિકાર છે. આ ઉપરાંત અનેક નેતાઓ એવા પણ છે કે જે મત માગ્યા બાદ પાંચ વર્ષ દેખાતા નથી અને તે પછીની ચૂંટણીમાં મુલાકાત લે છે આવા નેતાઓથી ચેતવું જોઈએ.




