રાજકોટ દક્ષિણના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહને રૂબરૂ મળી વ્યથા ઠાલવી હતી. ગોવિંદ પટેલે ‘ગુજરાત ઇન્ડ. કો-ઓપરેટિવ બેંક ફડચામાં ગઈ છે. આથી હજારો નાના થાપણદારોના નાણા ડૂબ્યા છે. આ અંગે યોગ્ય નિર્ણય લઈ નાના થાપણદારોના રૂપિયા પરત કરાવો. બેંક ફડચામાં જતા ડિપોઝીટ સહિતની કરોડોની રકમ ફસાઈ ગઈ છે.
હજારો ડિપોઝીટરોના નાણા રોકાયેલા છે
ગોવિંદભાઈ પટેલે અમિત શાહને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત ઇન્ડ. કો-ઓપરેટિવ બેંક કે જે ફડચામાં ગઈ છે. તેના અનેક નાના ડિપોઝીટરોની ડિપોઝીટ ફસાય ગઈ છે. સરકારે આવી કડચામાં ગયેલી બેંક અંગે એક લાખ સુધીના ડિપોઝીટરો અંગે અગાઉ નિર્ણય કરી ચૂક્યા છે. તેમને નાણા મળી પણ ગયા છે. પરંતુ જેઓની ડિપોઝીટ એક લાખ કરતા વધુ છે તેવા હજારો ડિપોઝીટરોના નાણા રોકાયેલા છે.
હાલ બેંક પાસે પૈસા પણ છે
ગોવિંદ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હાલ બેંક પાસે પૈસા પણ છે અને બેંકની ઘણી મોટી પ્રોપર્ટી પણ છે, જે અંગે કોઈ નિર્ણય થાય તો હજારો ડિપોઝીટરોને નાણા પરત મળે છે. હાલમાં સરકારે સુરત ખાતેની ડાયમંડ કો. ઓપરેટિવ બેંકને જે રીતે પુનઃજીવિત કરી છે તે દિશામાં પણ જો બેંક કાર્યરત થાય તો પણ બેંક ચાલી શકે તેમ છે. આ અંગે તે દિશામાં યોગ્ય કરવાનું જણાવ્યું છે.