વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદેશી અને અવિકસીત કચ્છને વિશ્વના નકશામાં મુકવાનું સ્વપ્ન ખરા અર્થમાં સાકાર થયું છે .રણ ઉત્સવ આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રખ્યાત થતા ટુરીસ્ટનુ મનપસંદ સ્થાન બન્યું છે. જેના કારણે છેલ્લા નવ વર્ષમાં અહીં 25 લાખથી વધુ પ્રવાસીઓ આવીને સફેદ રણને માણી ચૂક્યા છે એવું સાદગીપૂર્ણ રીતે રણોત્સવને ખુલ્લું મુકતા વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું. રણોત્સવને લોકાર્પિત કરતા વિધાનસભા અધ્યક્ષએ સૌ પ્રથમ ક્રાફ્ટ માર્કેટમાં હસ્તકલા કારીગરોના સ્ટોલની મુલાકાત લીધી હતી અને તેમની આંગળીના ટેરવે આકાર પામેલી પ્રોડક્ટોને જોઈને આનંદ વ્યક્ત કર્યો હતો તથા હસ્તકલા કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા.આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું હતું કે, કચ્છ ખમીરવંતા અને દરિયાદિલ લોકોનો પ્રદેશ છે. આ હેતાળ પ્રદેશના લોકોએ કચ્છના વિકાસમાં સક્રિય પણે સહભાગીતા દર્શાવીને કચ્છને એક ઉદાહરણરૂપ પ્રદેશ બનાવી દીધો છે. પ્રધાનમંત્રીનું કચ્છનો સર્વાંગી વિકાસ કરી વિશ્વના નકશામાં મૂકવાના સ્વપ્નને કચ્છના લોકોએ સહકાર આપીને સાકાર કર્યું છે.
આજે કચ્છમાં દેશભરમાંથી રોજગારી મેળવવા માટે લોકો આવે છે, કચ્છની સરહદ સલામત બને અને સરહદના લોકો સમૃદ્ધ બને તે માટે પ્રધાનમંત્રીએ અહીં અનેક પ્રકલ્પોનુ નિર્માણ કર્યું છે. જેમાંથી રણઉત્સવ, સરહદ ડેરી, ઉદ્યોગો તેમજ એશિયાના સૌથી મોટા રીન્યુએબલ એનર્જી પાર્કનું સ્વપ્ન સાકાર થયું છે, ટૂંક સમયમાં કચ્છની સરહદ દેશને વીજળી આપતી થશે. રાજ્ય સરકાર પોતાની વિવિધ પોલિસીઓના અમલીકરણથી ટુરીઝમ ક્ષેત્રે કચ્છ સહિતના પ્રદેશોનો વધુમાં વધુ વિકાસ થાય તે માટે કાર્યશીલ છે. તેમણે જણાવ્યું હતું કે, આવનારા વર્ષોમાં કચ્છ વર્લ્ડના 10 ટોપ ટેન ટુરીઝમ ડેસ્ટિનેશનમાં સ્થાન પામશે .તેમણે કચ્છ હાલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ મહત્વનું સ્થાન બન્યું છે




