Published By : Patel Shital
ભરૂચનાં વાગરા તાલુકાના મુલેર ગામે ગંધારના દરિયાની ભરતીમાં ડૂબી ગયેલા 6 નાના-મોટેરાઓની એક સાથે અંતિમયાત્રા નિકળતા સમગ્ર ગામમાં શોકની ભરતી ફરી વળી હતી. ગોહિલ પરિવારમાં ક્યારેય પુરાઈ નહિ તેવી આવેલી ઓટે પરિજનોને કલ્પાંત કરતા કરી દીધા હતા.
શુક્રવારે શનિ જયંતિ અને અમાસની મોટી ભરતીએ જ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર નજીક ગંધાર પાસે દરિયા કાંઠે ફરવા ગયેલા એક જ પરિવારના બાળકો, મહિલા સહિત 8 લોકો દરિયામાં ડૂબવા લાગ્યા હતા. જે પૈકી 6 હતભાગીઓને દરિયો ભરખી જતા ગમગીની છવાઈ ગઈ હતી.
હોનારતમાં 19 વર્ષિય દશરથ ગોહિલ, 20 વર્ષિય તુલસીબેન બળવંતભાઈ, 5 વર્ષિય જાનવીબેન હેમંતભાઈ, આર્યાબેન રાજેશભાઇ, 15 વર્ષિય રીંકલબેન બળવંતભાઈ અને 38 વર્ષિય રાજેશભાઈ છત્રસિંહ ગોહિલના મૃત્યુ થયા હતા. જ્યારે 19 વર્ષિય કિંજલબેન બળવતભાઈ ગોહિલ અને 17 વર્ષિય અંકિતાબેન બળવતભાઈ ગોહિલ બચી ગયા હતા.
શનિવારે મુલેર ગામે શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. એક સાથે 6 મૃતકોની અંતિમયાત્રા નિકળતા આખું ગામ હિબકે ચઢ્યું હતું. અંતિમયાત્રામાં વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિત અનેક રાજકીય આગેવાનો જોડાયા હતા.