- વરસાદ અને હિમવર્ષા વચ્ચે બચાવ કામગીરી હાથ ધરાઈ
કેદારનાથમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં પાયલોટ સહિત સાત લોકોના મોત થયા છે. વરસાદ અને હિમવર્ષા વચ્ચે અહીં બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
કેદારનાથથી લગભગ 3 કિમી દૂર નદી પાસે લગભગ સવારે ૧૧.૪૦ કલાકે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતની ઘટનામાં પાયલોટ સહિત સાત લોકોના મોત થયા છે. મૃતકોમાં ત્રણ મુસાફરો ગુજરાતના અને ત્રણ તમિલનાડુના હતા. પાયલટ મુંબઈનો રહેવાસી છે. દુર્ઘટનાના બે કલાક પછી પણ કાટમાળમાંથી આગની જ્વાળાઓ સતત વધી રહી હતી. રેસ્ક્યુ ટીમ દ્વારા સાત મૃતકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. કેદારનાથમાં હજુ પણ હવામાન ખરાબ છે. અહીં બરફ પડી રહ્યો છે. વરસાદ અને હિમવર્ષા વચ્ચે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ બચાવમાં લાગેલી છે.મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હેલિકોપ્ટર દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

હેલિકોપ્ટરે કેદારનાથ બેઝ કેમ્પથી નારાયણ કોટી-ગુપ્તકાશી માટે ઉડાન ભરી હતી. હેલિકોપ્ટર આર્યન કંપનીનું જણાવાઈ રહ્યું છે. ડીઆઈજી એસડીઆરએફ રિદ્ધિમા અગ્રવાલે જણાવ્યું કે કેદારનાથથી એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. લીંચોલીથી ટીમ પહોંચી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે કેદારનાથમાં ગાઢ ધુમ્મસ છે.ધુમ્મસના કારણે વિઝિબિલિટી નબળી હોવાને કારણે હેલિકોપ્ટર પહાડી સાથે અથડાયા બાદ ક્રેશ થયું હતું.




