Published by : Rana Kajal
- ડ્રગ માફિયાઓ અને અન્ય અસામાજિક તત્વો પર અંકુશ રાખવા નિયંત્રણો મુકાયા….
amગુજરાત રાજ્યની સરહદ પર ખુબ લાંબો દરિયાકિનારો છે. જેનો ઉપયોગ માદક ડ્રગની હેરાફેરી અને અન્ય દાણચોરી માટે અસામાજિક તત્વો દ્વારા થતો હોવાનું જણાતા તેમજ વાંરવાર દરિયાકાંઠા વિસ્તારમાંથી માદક દ્રવ્ય મોટી માત્રામાં ઝડપાતા હવે દાણચોરીની બેફામ બનેલ ગતિવિધિ પર લગામ કસવા વિવિઘ ટાપુઓ અવરજવર કરવા નિયંત્રણો મુકવામાં આવ્યા છે.
ગુજરાતનો જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લામાં કુલ ૧૧ દરિયાઈ ટાપુઓ આવેલ છે. જે પૈકી માત્ર ઍક પિરોટન ટાપુ પર માનવવસાહત આવેલ છે. જયારે અન્ય ટાપુઓ માનવવસાહત રહિત છે. આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલ છે. જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરે છે. આ ટાપુઓ પર રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો સહેલાઈથી આ દરિયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છુપાવવા ઉપયોગ કરે તેવી પુરી સંભાવના છે. તેથી રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઇ તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એન. ખેર દ્વારા સમગ્ર જામનગર જિલ્લાના આ ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
તેથી હવે પ્રવાસીઓને પિરોટન ટાપુ પર જવા-આવવાનું થાય ત્યારે નાયબ વન સંરક્ષક, મરીન નેશનલ પાર્ક, જામનગરની પૂર્વમંજૂરી મેળવી લેવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામું આગામી તા.14-05-2023 સુધી અમલમાં રહેશે એમ જણાવાયુ છે.
અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે એવા ટાપુઓમાં ભેંસબીડ ટાપુ, દંડીકા ટાપુ અને મુંડીકા ટાપુ તથા ઝિન્દ્રા ટાપુ, પિરોટન ટાપુ, અમુડી બેલા ટાપુ, બડા બેલા ટાપુ, કોદરા બેડ ટાપુ, જુના બેલા ટાપુ, અનનોન-એ ટાપુ અને અનનોનબી ટાપુઓનો સમાવેશ થાય છે તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું પ્રસિધ્ધ કરી, જિલ્લામાં આવેલા ૨૧ ટાપુઓ જેવા કે ધાની ઉર્ફે ડની ટાપુ, ગાંધીયોકડો ટાપુ, કાલુભાર ટાપુ, રોઝી ટાપુ, પાનેરો ટાપુ, ગડુ (ગારૂ) ટાપુ, સાનબેલી (શિયાળી) ટાપુ, ખીમરોઘાટ ટાપુ, આશાબાપીર ટાપુ, ભૈદર ટાપુ, ચાંક ટાપુ, ધબધબો (દબદબો) ટાપુ, દીવડી ટાપુ, સામીયાણી ટાપુ, નોરૂ ટાપુ, માન મરૂડી ટાપુ, લેફા મરૂડી ટાપુ, લંધા મરૂડી ટાપુ, કોઠાનું જંગલ ટાપુ, ખારા મીઠા ચુષ્ણા ટાપુ અને કુડચલી ટાપુ આ ટાપુઓની મહેસુલી હકુમત ધરાવતા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ કે તેના ઉપરી અધિકારીની લેખીત પુર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકયો છે. આ જાહેરનામું તા. ૨ નવેમ્બર સુધી અમલમાં રહેશે. એમ જણાવાયુ છે