Home News Update My Gujarat ગુજરાતનો અનોખો મેળો, અહીં આ પશુ પર લાગે છે રૂપિયાની બોલી

ગુજરાતનો અનોખો મેળો, અહીં આ પશુ પર લાગે છે રૂપિયાની બોલી

0

અમદાવાદ નજીક ધોળકા પાસે વૌઠાનો મેળો યોજાય છે. વૌઠા કે જ્યાં સાત નદીઓનો સંગમ થાય છે. તે સ્થળે વર્ષોથી કારતક સુક અગિયારસથી એટલે કે દેવ ઉઠી એકાદશીથી કારતક સુદ પૂનમ સુધી આ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. કોરોનાકાળ હળવો થતા આ વર્ષે ગુજરાતમાં તહેવારો તેમજ લોકમેળાનું આયોજન ધૂમધામથી થઈ રહ્યું છે. ત્યારે આ વર્ષે વૌઠાના મેળાનું પણ રંગેચંગે આયોજન કરવામાં આવ્યું છે.હિંદુઓના નવા વર્ષની શરૂઆતનો તહેવાર દિવાળી બાદ આવતો ગુજરાતી પંચાગ પ્રમાણેનો પ્રથમ મેળોએ વૌઠાનો મેળો ગણાય છે. આ મેળો અમદાવાદ નજીક આવેલા ધોળકા પાસે વૌઠામાં યોજાય છે. વૌઠા કે જ્યાં સાત નદીઓનો સંગમ થાય છે. તે સ્થળે વર્ષોથી કારતક સુક અગિયારસથી એટલે કે દેવ ઉઠી એકાદશીથી કારતક સુદ પૂનમ સુધી આ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે.

ગુજરાત બહારથી લોકો મેળો માણવા અને પશુઓ ખરીદવા માટે આવતા હોય છે

અહીં ગુજરાત બહારથી પણ લોકો મેળો માણવા અને પશુઓ ખરીદવા માટે આવતા હોય છે. ધોળકાના વૌઠા ગામ ખાતે સાબરમતી, હાથમતી, ખારી, વાત્રક, મેશ્વો, શેઢી અને માજુમ એમ સાત નદીનો સંગમ થાય છે. આ સ્થળે પાંચ દિવસ સુધી લાખોની સંખ્યામાં લોકો સ્નાન કરી ધન્યતા અનુભવતા હોય છે. આ સાથે અહીં બનાવેલા તંબુઓમાં આવીને લોકો રહેતા હોય છે અને લોકમેળાની મજા માણતા હોય છે.

નદીનું પાણી પ્રદૂષિત હોવાની ફરિયાદ સ્થાનિકોએ કરી

જો કે હાલમાં નદીઓમાં દૂષિત પાણી આવતું હોવાની સ્થાનિકો નારાજ થયા છે. આ સાથે સાબરમતી નદીનું પાણી પ્રદૂષિત હોવાની ફરિયાદ પણ કરી છે. સપ્ત નદીઓના સંગમસ્થાને આવતા પ્રદૂષિત પાણીમાં સ્નાન ન કરવું પડે તે માટે સાબરમતી નદીમાં શુદ્ધ પાણી તંત્ર દ્વારા પૂરું પાડવામાં આવે તેવી માંગણી સ્થાનિકોએ કરી છે.

મોરબીના ઘટના બાદ તંત્ર સજાગ બન્યું

મોરબીની દુર્ઘટનાને ધ્યાનમાં રાખતા હવે અહીં અવર જવર માટે વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મેળામાં હજારો લોકો રોજગારી રળવા માટે આવે છે. ત્યારે વૌઠા ગ્રામ પંચાયત દ્વારા પ્લોટની હરાજી કરીને કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. બે વર્ષથી કોરોના મહામારીના લીધે મેળો બંધ હતો. ત્યારે આ વર્ષે મેળાના આયોજનને પગલે સ્થાનિક લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સ્નાન કરવા માટે ગ્રામ પંચાયતે લાકડાનો પુલ બનાવ્યો

સપ્ત નદીઓના સંગમ સ્થાને તંત્ર દ્વારા શુદ્ધ પાણી પૂરૂ પાડવામાં આવે તેવી માંગણી ઉઠવાની સાથે સાથે સપ્ત નદી સંગમમાં સ્નાન કરવા જવા માટે ગ્રામ પંચાયત દ્વારા લાકડાનો પુલ બનાવવામાં આવી રહ્યો છે. જેથી લોકો ત્યાં જઈને નદીમાં શાંતિથી સ્નાન કરી શકે.

પુરાણોમા પણ છે મહત્વ

ગુજરાતની મધ્યમાં આવેલા આ સ્થાનનું મહત્વ પુરાણોમાં પણ છે. મહાભારતમાં વિરાટનગર જે હવે ધોળકામાં છે. ત્યાં પાંડવો તેર વર્ષના લાંબા વનવાસ પછી અજ્ઞાતવાસ જવા રોકાયા હતા. વૌઠામાં આવેલા પ્રાચીન મહાદેવના મંદિર વિશે એવી અનેક માન્યતાઓ પ્રચલિત છે કે સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરનારા ભગવાન શંકરના મોટા પુત્ર કાર્તિકેય અહીં સ્નાન કરવા આવે છે. કાર્તિકેયની ચરણપાદુકા આજે પણ વૌઠામાં પૂજાય છે. કાર્તિકી પૂર્ણિમાના દિવસે સપ્ત સંગમમાં સ્નાન કરવું ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તે દિવસે સ્નાન કરીને લોકો આધ્યાત્મિક આનંદનો અનુભવ કરે છે. વૌઠાના આ મેળામાં ઘણી નાની-મોટી દુકાનો, મનોરંજનના સાધનો, મદારી, જાદુગર, નટ, ભવાઈ તેમજ સર્કસ વગેરે મનોરંજનના સાધનો જોવા મળે છે.

સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

રાત્રિના સમયે ભજન મંડળી ઉપરાંત તાલુકા પંચાયત ધોળકા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. ભાલ અને નલકાંઠા વિસ્તારના લોકો તેમજ ઠાકોર, રાણા, દરબાર, કાછીયા પટેલ અને રાજપૂત જાતિના લોકો ત્યાં પડાવ નાખી રોકાય છે.

મેળામાં ગધેડાનુ વેંચાણ થાય

આ મેળાનું મુખ્ય આકર્ષણ ગધેડા બજાર છે. ગધેડાને ગરદન અને પીઠ પર લાલ, ગુલાબી અને નારંગી રંગથી રંગવામાં આવે છે.આ મેળામાં પશુઓનું ખાસ કરીને ગધેડાનું વેંચાણ કરવામાં આવે છે. જેમ પુષ્કરના મેળામાં ઊંટની ખરીદી અને વેંચાણ થાય છે. તેવી જ રીતે વૌઠામાં પણ ગધેડાની ખરીદી અને વેંચાણ કરવામાં આવે છે. અહીં ગધેડાની અનેક પ્રકારની પ્રજાતિઓ જોવા મળે છે. અને તેની ખરીદી માટે લોકો તેને મોટી કિંમત આપીને ખરીદે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version