Published by : Anu Shukla
- તપાસ અધિકારી DYSP સી.કે.પટેલે 7 દિવસના રીમાન્ડની કરી હતી માંગ
- અન્ય આરોપીઓ, બુટલેગરોની પોલીસ જાસૂસીકાંડમાં સંડોવણી છે કે નહીં
- સંપત્તિ અને બુટલેગરો પાસેથી કેટલો મળતો હતો વ્યવહાર રિમાન્ડમાં ખુલશે રાજ
- કોન્સ્ટેબલ અશોકની ડાયરીમાં લખેલા નંબરો અને માહિતીની પણ થશે ઊંડાણથી તપાસ
ગુજરાત પોલીસની બુટલેગરોના બાતમીદાર બની દોઢ વર્ષથી જાસૂસી કરતા ભરૂચ LCBના બન્ને કોન્સ્ટેબલ સામે બુધવારે ફરિયાદ દાખલ કરી ધરપકડ કરાઈ હતી. આજે ગુરૂવારે પોલીસના જ ગુનેગાર બન્ને પોલીસ કર્મીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
સ્ટેટ મોનીટરીંગ સેલ SMC ના 15 અધિકારીઓના 600 વખત અને ભરૂચ પોલીસના 90 વખત મોબાઈલ લોકેશન બુટલેગરોને વેચનાર બે કોન્સ્ટેબલ હવે પોલીસની હીરાસતમાં છે.
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં છેલ્લા 10 વર્ષ જેટલા સમયથી ટેક્નિકલ સર્વેલન્સમાં ફરજ બજાવતા મયુર ખુમાણ અને અશોક સોલંકી કુખ્યાત બુટલેગરો નયન ઉર્ફે બોબડો તેમજ પરેશ ઉર્ફે ચકા માટે પોલીસની ફરજ કોરાણે મૂકી બુટલેગરોના બાતમીદાર બની ગયા હતા.
SMCના 15 અધિકારીઓના 600 વખત અને ભરૂચ પોલીસના 90 વખત મોબાઈલ લોકેશન બુટલેગરોને વેચી પોલીસના જ દરોડા નાકામ કરાવ્યા હતા. પોલીસની જાસૂસી કરતા બન્ને કોન્સ્ટેબલને ગત જાન્યુઆરી મહિનામાં જ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા હતા.
ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે બંને કોન્સ્ટેબલોની તપાસ અંકલેશ્વર DYSP ચિરાગ દેસાઈને સોંપી હતી. અઢાર દિવસની તપાસ બાદ અધિકારીએ રિપોર્ટ SP ને સોંપતા બુધવારે SOG પીઆઇ આંનદ ચૌધરીએ ફરિયાદી બની બી ડિવિઝન પોલીસ મથકે બન્ને કોન્સ્ટેબલ સામે ફરિયાદ દાખલ કરાવતા જ તેમને પોલીસ કસ્ટડીમાં લઈ લેવાયા હતા.
આગળની તપાસ કરી રહેલા DYSP સી.કે.પટેલે આજે ગુરૂવારે બન્ને ગુનેગાર પોલીસ કર્મીઓ અશોક સોલંકી અને મયુર ખુમાણને તપાસ અર્થે 7 દિવસના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા.
કોર્ટે બન્ને કોન્સ્ટેબલના 5 દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. બન્ને પોલીસ આરોપીઓના રીમાન્ડ દરમિયાન પોલીસના મોબાઈલ લોકેશન શેર કરવામાં અને કઢાવવામાં અન્ય કોઈ આરોપીઓ સામેલ હતા કે નહીં તેની તપાસ થશે. અશોક પાસેથી મળી આવેલી ડાયરી, તેમાં લખેલા નંબરો સહિતની માહિતીઓ ચકાસવામાં આવશે.
આ ગંભીર ષડયંત્ર સમાન ગુનામાં અન્ય બીજા બુટલેગરો સંડોવાયેલા છે કે નહીં, બુટલેગરો પોલીસ અધિકારીઓના લોકેશન આપવા બદલ કેટલો અને કેવો લાભ આપતા હતા તેની સાથે બન્ને આરોપીઓની સંપત્તિ અંગે પણ તપાસ કરવામાં આવશે તેમ તપાસ અધિકારી DYSP સી.કે.પટેલે જણાવ્યું છે.